કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of msu will call a meeting of school principals

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે પહેલી વખત એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.૧૦૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ આ એન્ટ્રન્સ ટેસ્ટ આપે તેવી શક્યતા છે.એન્ટ્રન્સ ટેસ્ટ અંગેની જાણકારી અને આ માટે તૈયાર કરવામાં આવેલી ક્વેશ્ચન બેન્ક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શાળાઓ પણ મદદરુપ બનશે.આ માટે આગામી દિવસોમાં કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની શાળાઓના આચાર્યો સાથે એક બેઠક યોજાશે.
મળતી વિગતો અનુસાર વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ કોમર્સ ફેકલ્ટી ડીનને એન્ટ્રન્સ ટેસ્ટ અંગે વધારે જાણકારી પૂરી પાડવા રજૂઆત કરી છે અને આચાર્યોની એક બેઠક પણ બોલાવવામાં આવે તેવી માગ કરી છે.સંકલન સમિતિએ તો ૯૫ ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની સાથે સાથે જરુર પડે તો વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેનો પણ મુદ્દો ઉઠાવ્યો છે.ફેકલ્ટી સત્તાધીશોએ પણ આ બાબતે સંમતિ આપી છે.ઉપરાંત આ બેઠકમાં એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ જાણકારી પૂરી પાડવામાં આવશે.જેથી સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરી શકે.
નવા શૈક્ષણિક વર્ષથી હાજરી ફરજિયાત અગાઉ થયેલા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા
નવા શૈક્ષણિક વર્ષથી કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત કરવાનું નક્કી કર્યું છે.આખા વર્ષમાં વિદ્યાર્થીઓની ૭૫ ટકા હાજરી જરુરી બનશે.આ માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે.જોકે આ પહેલા પણ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી માટે જેટલા પણ પ્રયત્નો થયા છે તેને સફળતા મળી નથી.કોમર્સ ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થયાના એકાદ મહિના બાદ વર્ગોમાં માંડ ૨૦ થી ૩૦ ટકા હાજરી રહેતી હોય છે.


