જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti celebrated in Jamnagar: Rath Yatra and religious programs galore

Jamnagar Mahavir Jayanti : જામનગર શહેરમાં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભક્તિપૂર્ણ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સવારે 7:15 વાગ્યે શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી પ્રસ્થાન થઈ હતી, અને પેલેસ દેરાસર ખાતે વિરામ પામી છે. રથયાત્રામાં ચાંદીના રથો, સાયકલિસ્ટ બાળકો, 13 ફૂટના કાર્ટૂન પાત્ર માનવીઓ, વેશભૂષા કરેલા બાળકો, જામનગર-નાસિક બેન્ડ અને ચામર નૃત્ય કરતા યુવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રથયાત્રાનો માર્ગ શેઠજી દેરાસરથી શરૂ થઈ સજુબા સ્કૂલ પાસેના પારસ ધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, પોપટ પારશી પેઢી પાસેના સમેત શિખરજી દેરાસર, ગુરુદ્વારા રોડ, જી.જી. હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ રોડના દેરાસર ખાતે પૂર્ણ થઇ હતી.
જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દ્વારા ગુરુ ભગવંતોની નિશ્રામાં આજે સવારે 9:30 વાગ્યે ભક્તામર પાઠ બાદ પક્ષાલ પુજા અને કેસર પુજાનું આયોજન થયું હતું. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે બહેનોના મંડળ દ્વારા પંચકલ્યાણક પુજા યોજાઇ છે. સાંજે ભક્તિભાવના દરમિયાન 108 દીવાની આરતી અને મંગલ દીવડાના ચડાવા પણ કરવામાં આવશે, જે કાર્યક્રમનો આધ્યાત્મિક શિખર ગણાશે. આ રથયાત્રા અને ધાર્મિક પ્રસંગમાં શહેરના વિવિધ જૈન સંઘો અને સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ છવાઈ ગયો છે.


