સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani Minorities Get Indian Citizenship in Ahmedabad Over 9 Years

![]()
Pakistani Minorities Get Indian Citizenship in Ahmedabad: ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે મોટી સંખ્યામાં પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ સિંધુથી સાબરમતીની સફર ખેડી અમદાવાદ આવ્યા હતા. જો કે, 78 વર્ષથી સતત આ સફર ચાલતી આવી છે. ભારતના નાગરિક બનવા માટે દર વર્ષે અમદાવાદમાં રહેતા 150 જેટલા પાકિસ્તાની લઘુમતીઓ દ્વારા અરજી કરવામાં આવે છે. આમ છેલ્લાં 9 વર્ષમાં અમદાવાદમાં 1295 પાકિસ્તાની લઘુમતીઓ ભારતની નાગરિકતા મેળવી સત્તાવાર રીતે દેશના નાગરિક બન્યા છે.
700 જેટલી અરજી પેન્ડિંગમાં
આઝાદીના 78 વર્ષ બાદ આજે પણ કેટલાક પાકિસ્તાનીઓ લગ્ન કરીને તથા સતામણીથી બચવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતમાં આવીને સ્થાયી થઈ રહ્યા છે. ત્યારે મળતી વિગતો અનુસાર, છેલ્લાં દસેક વર્ષમાં પાકિસ્તાન છોડી અમદાવાદમાં સ્થાયી થયેલા 2049 લોકો દ્વારા ભારતના નાગરિક બનવા માટે અરજી કરાઈ હતી. જેમાંથી અત્યાર સુધી 1295 પાકિસ્તાની હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. હાલ મેઘાણીનગર, સરદારનગર, બાપુનગર, નરોડા વગેરે વિસ્તારોમાં મુખ્યત્વે આવા પાકિસ્તાની હિન્દુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ સિવાય 500થી 700 જેટલી અરજી પેન્ડિંગ તથા પ્રોસેસમાં છે.
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ દ્વારા અમદાવાદમાં નહિવત અરજી કરાય છે. ઓનલાઇન અરજી કર્યાં બાદ પુરાવા રજૂ કરી કલેક્ટર દ્વારા અરજદારને રાજનિષ્ઠાના શપથ લેવડાવવામાં આવે છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય આઈબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) દ્વારા અરજદારની તપાસ કરાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં 6-8મહિના લાગી જાય છે.
આ પણ વાંચો: ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ
અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લા કલેક્ટરને નાગરિકતા આપવાની વિશેષ સત્તા
સામાન્ય રીતે ગૃહ વિભાગ દ્વારા વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા કરાય છે. જો કે, વર્ષ 2016 અને 2018માં કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી જૂથના લોકોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા અપાઈ હતી. તેમજ વર્ષ 2019માં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) દ્વારા આ ત્રણેય દેશના વર્ષ 2014 પહેલાં ભારતમાં આવેલા હિન્દુ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકો માટે નાગરિકતાના નિયમોમાં ફેરફાર કરી રેસિડેન્સી પીરિયડ 11 વર્ષથી ઘટાડી પાંચ વર્ષ કરી દેવાયો હતો. જેથી જિલ્લા કક્ષાએ આખું વર્ષ હવે નાગરિકતાની અરજી આવતી રહે છે.



