અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો | Ahmedabad News After accident in Dudheshwar Attack on Bajrang Dal workers Madhavpura Police

![]()
Ahmedabad News: અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં રવિવારે રાત્રે વાહન અડી જવાની બાબતે મારામારી થઈ હતી. જેમાં અમરાઈવાડીનો 21 વર્ષીય આશિષ નાગોરા, જે બજરંગ દળનો કાર્યકર છે, તે મહાકાળી મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સાથે તેનું એક્ટિવા અડી જતાં વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક બની ગઈ હતી અને લઘુમતી સમાજના એક મોટા ટોળાએ આશિષ પર હુમલો કરી, તેના ખિસ્સામાંથી રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી, આશિષભાઈ પપ્પુભાઈ નાગોરા (21), જે અમરાઈવાડીના સંતોષી નગરમાં રહે છે અને એક સામાન્ય મજૂર છે, તેમણે જણાવ્યું હતું કે આ ઘટના 29 માર્ચે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે તેઓ તેમના મિત્ર અમનભાઈ અરુણભાઈ મિશ્રા સાથે દૂધેશ્વરમાં આવેલા મહાકાળી માતાજી મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે ઝપાઝપી દરમિયાન તેના ખિસ્સામાંથી આશરે રૂપિયા 500-600ની રોકડ રકમ પડી ગઈ હતી. તે ભાગી જવામાં સફળ રહ્યો અને તેના મિત્ર સાથે થોડે દૂર ગયો અને પછી બજરંગ દળના અન્ય સભ્યોનો સંપર્ક કરીને ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા પોલીસને જાણ કરી હતી.
બેકાબૂ ટોળાએ ફરીથી હુમલો કર્યો
આ ઘટનાની જાણ થતાં જ અન્ય બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસની ગાડી પણ સ્થળ પર આવી હતી. જો કે તેમનો આક્ષેપ છે કે પોલીસની હાજરી હોવા છતાં બેકાબૂ ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો, જેમાં સુનીલ શર્મા નામના કાર્યકરની પીઠ પર પાછળથી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે વધુ લોકોના ટોળાએ હુમલો શરૂ કર્યો ત્યારે પોલીસ સ્થળ પરથી નીકળી ગઈ હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
6-7 લોકો સામે ગુનો નોંધાયો, 1ની ધરપકડ
આ સમગ્ર મામલે ACP વાણી દુધાતે સ્પષ્ટતા કરી હતી કે, સ્થિતિ વધુ ખરાબ ન થાય તે હેતુથી પોલીસ ફરિયાદીને તુરંત ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ આવી હતી. હાલમાં પોલીસે આ હિંસક ઘટનાના સંદર્ભમાં એક શકમંદ વ્યક્તિની અટકાયત કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી છે. ફરિયાદીના સહયોગીઓ અને ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ સહિત સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે. હાલ માધવપુરા પોલીસે છ થી સાત અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.



