નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resigns as MLC: Suspense over Bihar CM Post as JDU Leader

![]()
Nitish Kumar MLC Post : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલી અટકળો પરથી આંશિક રીતે પડદો ઊંચકાયો છે. નીતિશ કુમારે બિહાર વિધાન પરિષદ (MLC) ના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
જેડીયુએ કરી પુષ્ટી
JDUના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમારનું રાજીનામું પત્ર લઈને MLC સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા છે. જોકે, સભાપતિની ગેરહાજરીને કારણે હજુ સુધી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ આ ઘટનાક્રમે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ કેમ?
નીતિશ કુમારે MLC પદ છોડ્યું છે, પરંતુ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ક્યાં સુધી રહેશે તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે. હાલમાં જ નીતિશ કુમાર રાજ્યસભા માટે નિર્વાચિત થયા છે. નિયમ મુજબ, રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેમણે વિધાન પરિષદનું સભ્યપદ છોડવું પડે છે. ટેકનિકલ રીતે જોવામાં આવે તો, MLC પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ નીતિશ કુમાર આગામી 6 મહિના સુધી મુખ્યમંત્રી પદ પર રહી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું તેઓ રાજ્યસભામાં જશે કે બિહારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે?
શું નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પણ છોડશે?
રાજકીય ગલીયારાઓમાં એવી ચર્ચા છે કે નીતિશ કુમાર આગામી દિવસોમાં મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપી શકે છે. વિજય કુમાર ચૌધરીએ મીડિયા સમક્ષ રાજીનામું બતાવ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય થવાની તૈયારી કરી રહ્યા છે. જો તેઓ મુખ્યમંત્રી પદ છોડે છે, તો બિહારની કમાન કોણ સંભાળશે તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે.
નીતિન નવીને પણ રાજીનામું આપ્યું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ હવે બાંકીપુરથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ ગયા છે.



