થાનમાં મિની વાવાઝોડા બાદ 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો ગુલ | Street lights out for 10 days after mini cyclone in Thane

![]()
– તંત્રની રિપેરીંગની ખાતરી પોકળ સાબિત થઈ
– મુખ્ય બજાર અને સ્ટેશન રોડ પર અંધારાના કારણે વેપારીઓ-રહીશોમાં ચોરી અને અકસ્માતનો ભય
થાન : થાનગઢ શહેરમાં ગત સપ્તાહે ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ કુદરતી આફતને ૧૦ દિવસ વીતી ગયા હોવા છતાં શહેરની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો હજુ પણ બંધ હાલતમાં છે.
ખાસ કરીને શહેરની ધમધમતી મુખ્ય બજાર અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે ઘોર અંધારપટ જોવા મળે છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અંધારાનો લાભ લઈને ચોરી કે લૂંટફાટ જેવી અનિચ્છનીય ઘટનાઓ બનવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગંભીર મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ બે દિવસમાં લાઈટો રિપેર કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિ સામે જનતામાં ઉગ્ર નારાજગી છે. વેપારીઓએ માંગ કરી છે કે રાત્રિ સુરક્ષાને ધ્યાને રાખી તાત્કાલિક નવી લાઈટો નાખવામાં આવે અથવા બંધ લાઈટોનું સમારકામ કરવામાં આવે.



