સૂરત-જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માગ | Demand to restart Surat Jamnagar intercity train

![]()
વડોદરા- સૂરત રેલવે માર્ગ પર મુસાફરી કરતા હજારો વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો માટે સૂરત- જામનગર ઇન્ટરસિટીને ફરીથી સૂરતથી શરૂ કરવાની માગ ઉઠી છે.
ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) વડોદરાના સભ્યએ પશ્વિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરી છે કે, હાલ સૂરત-જામનગર ટ્રેન વડોદરાથી ચાલી રહી છે, જેના કારણે સૂરતથી મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. સૂરત, કોસંબા, ભરૂચ અને કરજણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વડોદરા આવે છે, પરંતુ બપોરના સમયમાં ટ્રેન ઉપલબ્ધ ન હોવાને કારણે તેમનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે.
એમ.એસ.ટી (માસિક સિઝન પાસ) ધારકો અને નોકરીયાત વર્ગ પણ આ ટ્રેન પર નિર્ભર હતો. હાલ સવારે ૧૦ વાગ્યે ગુજરાત એક્સપ્રેસ બાદ સીધી બપોરે ૩ વાગ્યે ટ્રેન ઉપલબ્ધ હોવાથી પાંચ કલાકનો લાંબો ગાળો છે, જે મુસાફરો માટે અસહ્ય બની રહ્યો છે.
અગાઉ આ ટ્રેન બપોરે દોઢ વાગ્યાની આસપાસ સૂરતથી ઉપડતી હતી, જે મુસાફરો માટે સૌથી અનુકૂળ સમય ગણાતો હતો.



