‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | India’s LPG Supply Secure: 4 Ships En Route via Strait of Hormuz

![]()
India LPG Supply Update News : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 28 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં LPGના જથ્થો અને તેના સપ્લાયને લઈને આજે મહત્ત્વની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે, હોર્મુઝ જળમાર્ગેથી વધુ ચાર જહાજો ભારત આવવા રવાના થઈ ગયા છે. દેશમાં એલપીજીની કોઈ અછત નથી. આ ઉપરાંત દેશમાં એલપીજીના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
થોડા દિવસોમાં LPG ભરેલા જહાજો ભારત આવશે : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલાયના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી આપણા વધુ ચાર જહાજો આવી રહ્યા છે, જે આગામી થોડા જ દિવસોમાં ભારત પહોંચી જશે. અમે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ખાદી દેશોના સતત સંપર્કમાં છીએ. અમે દેશની ઊર્જા જરૂરીયાત મુજબ અન્ય દેશોના પણ સંપર્કમાં છીએ.
ભારત ક્યાંથી ઓઇલ ખરીદી રહ્યું છે? તેની માહિતી ટૂંક સમયમાં મળી જશે
જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘અમે ક્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે, તેની માહિતી તમને સંબંધિત મંત્રાલય પાસેથી મળી જશે. આપણા વિદેશ મંત્રી એસ. જયશંકર પેરિસમાં છે અને તેઓ અનેક નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. હોર્મુઝ જળમાર્ગમાંથી જહાજો સરળતાથી આવન-જાવન કરી શકે તે અમારી પ્રાથમિકતા છે.’
‘ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર’
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ, એલપીજી અને LNGની સપ્લાય અટકી પડી હોવાની અફવાઓને રદીયો આપી દીધો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, તેમની પાસે આગામી બે મહિનાનો બેકઅપ પ્લાન તૈયાર છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં રૅકોર્ડ વધારો થયો છે. ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત પ્રતિ બેરલ 70 ડૉલરથી વધીને 140 ડૉલર પર પહોંચી ગઈ છે.
ભારતમાં LPG ઉત્પાદનમાં 40 ટકાનો ધરખમ વધારો
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત પાસે ક્રૂડ ઓઇલની જરૂરીયાત મુજબનો ભંડાર છે. આગામી 60 દિવસ એટલે કે બે મહિના સુધી ચાલે તેટલો જથ્થો સુનિશ્ચિ કરી લેવાયો છે. આ ઉપરાંત ભારતીય રિફાઇનરીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે, જેના કારણે ઘરેલુ એલપીજી ઉત્પાદનમાં લગભગ 40 ટકાનો મોટો વધારો થયો છે.


