નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transferred as Surendranagar Collector

![]()
– સવા વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર
– જી. એચ. સોલંકી બદલીથી નડિયાદ મનપામાં નવા કમિશનરની નિમણૂક ન થતા હાલ આ જગ્યા ખાલી
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા જી.એચ.સોલંકીની રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માત્ર એક વર્ર્ષ અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તેમની બદલી થતા પાલિકા વર્તુળોમાં ચર્ચા જાગી છે, જોકે હાલમાં તેમના સ્થાને નવા કમિશનરની નિમણૂક બાકી રખાઈ છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, નડિયાદમાં કાર્યરત જી.એચ. સોલંકી હવે સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સંભાળશે. નડિયાદ મહાનગરપાલિકામાં તેમના સવા વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે બે બજેટ રજૂ કર્યા હતા. હાલમાં સોલંકીની બદલી સુરેન્દ્રનગર થતા તેઓ ત્યાં વધારાનો હવાલો સંભાળતા કે.એસ.યાજ્ઞિાકને આ જવાબદારીમાંથી મુક્ત કરશે. બીજી તરફ નડિયાદ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણૂક ન થતા હાલ આ જગ્યા ખાલી પડી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા અહીં કોની નિમણૂક કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વહીવટી કારણોસર થયેલી આ બદલીથી નડિયાદના સ્થાનિક રાજકારણમાં પણ નવા સમીકરણો રચાય તેવી શક્યતા જોવા મળી રહી છે.



