પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા આવશો! | Gujarat Bans Petrol Sale in Cans Bottles Amid Panic Buying at Fuel Stations

Gujarat Fuel Rules: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને પગલે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાગેલી લાંબી કતારો અને ‘પેનિક બાઈંગ’ની સ્થિતિને જોતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્ત્વની જાહેર કરી છે કે, હવેથી પેટ્રોલ પંપો પર માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરી શકાશે. લોકો કેન તથા બેરલ જેવા પાત્રોમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી કરી શકશે નહીં. આ નિર્ણય સંગ્રહખોરી રોકવા અને પંપો પર થતી અંધાધૂંધીને નિયંત્રિત કરવા માટે લેવાયો છે.
સંગ્રહખોરો સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ પગલાં
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા ઈંધણની સંગ્રહખોરી કરશે, તો તેમની સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની જોગવાઈઓ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રિફાઇનરીઓ દ્વારા નિયમિત સપ્લાય ચાલુ છે.

પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
ઉલ્લેખનીય છે કે, સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને વિતરણમાં કોઈ અવરોધ નથી. આ ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોમર્શિયલ LPGના જથ્થામાં પણ વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ઈંધણના વિતરણ પર કોઈ પ્રતિબંધ કે રેશનિંગ નથી. લોકો ખોટી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવે તેવી વિનંતી કરવામાં આવી છે. કિંમતોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.



