राष्ट्रीय

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર | modi government implement women reservation act soon 2011 Census



Women Reservation Act: ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં લાંબા સમયથી પેન્ડિંગ મહિલા અનામત કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ કાયદાને 2011ની વસ્તી ગણતરીના આધારે લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જેથી સંસદમાં મહિલાઓની ભાગીદારીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાનગી ન્યૂઝ રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો મહિલા અનામત લાગુ કરવામાં આવશે તો લોકસભાની બેઠકો વધીને 816 થઈ જશે. 273 બેઠકો મહિલા માટે રિઝર્વ રહેશે. આ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂચિત માળખા હેઠળ લોકસભાની કુલ બેઠકો હાલની 543થી વધારીને 816 કરી શકાય છે. જેમાંથી અંદાજે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ પગલું ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને ઐતિહાસિક રીતે વધારનાર માનવામાં આવી રહ્યું છે. હાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે મોદી સરકારનો આ એક મહત્વનો દાવ માનવામાં આવે છે, જેમાં વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ પાસે મદદ માગીને તેમને પણ રાજકીય રીતે મજબૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મહિલા અનામત અધિનિયમ 2023ની જોગવાઈ શું છે?

વર્ષ 2023માં પસાર થયેલા આ કાયદામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. જો કે તેને લાગુ કરવાની શરત નવી વસ્તી ગણતરી અને સીમાંકન સાથે જોડવામાં આવી હતી, જેના કારણે તે અત્યાર સુધી લાગુ કરવામાં આવ્યું નથી.  જણાવી દઈએ કે મૂળ કાયદામાં એવી શરત હતી કે મહિલા અનામત ત્યારે જ લાગુ થશે જ્યારે નવી વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થશે. હવે સરકાર આ શરતમાં સુધારો કરીને વહેલી તકે કાયદો લાગુ કરવાના વિકલ્પો શોધી રહી છે.

બંધારણીય સુધારા કરવા મથામણ

સૂત્રોનો દાવો છે કે સરકાર આ મામલે ઝડપથી આગળ વધવા માંગે છે. તેનો હેતુ વર્તમાન બજેટ સત્રમાં જ એક બિલ રજૂ કરવાનો છે, જેથી કાયદામાં સુધારો કરીને સંસદના નીચલા ગૃહમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારી શકાય. આવી સ્થિતિમાં જો સરકાર સીમાંકન પહેલા મહિલા અનામત લાગુ કરવા માંગતી હોય, તો તેના માટે બંધારણમાં સુધારો કરવો પડશે. જે અનુસાર સંસદના બંને ગૃહોમાં બહુમતી આવશ્યક રહેશે, જેમાં હાજર અને મતદાન કરનારા સભ્યોમાં બે તૃતીયાંશ સમર્થન જરૂરી છે. આ પ્રક્રિયા ભારતીય બંધારણની કલમ 368 હેઠળ પૂર્ણ કરવામાં આવશે.

વિપક્ષી દળોનું સમર્થન જરૂરી

સંસદમાં સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી. આમ છતાં સરકારને આશા છે કે તે આ કાયદો બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરી લેશે. વિપક્ષી દળો સાથેના પ્રારંભિક સંપર્ક પણ સંકેત આપે છે કે સરકાર આ બંધારણીય સુધારાને સરળતાથી પસાર કરવા માટે વ્યાપક સમર્થન એકત્ર કરવાના પ્રયાસોમાં લાગેલી છે. સૂત્રએ આશંકા વ્યક્ત કરી છે કે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ બિલ સંભવતઃ આવતા અઠવાડિયે સૌથી પહેલા રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ભાજપ પાસે લોકસભામાં 240 અને રાજ્યસભામાં 103 સાંસદો છે. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે વિપક્ષી દળોના સમર્થન વિના કોઈપણ ગૃહમાં આ સુધારો બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરી શકાય તેમ નથી.

આગળ શું થશે?

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ કરી છે, જેથી આ કાયદાના અમલીકરણના માળખા પર વ્યાપક સંમતિ બની શકે. તેમણે સંસદીય કાર્ય મંત્રીને આ દિશામાં પહેલ કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટની મંજૂરી બાદ આ સુધારા બિલને પહેલા રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સરકારનો ધ્યેય તેને વ્યાપક સમર્થન સાથે સંસદમાંથી પસાર કરાવવાનો છે, જેથી લાંબા સમયથી પેન્ડિંગ મહિલા અનામતને વાસ્તવિકતામાં બદલી શકાય.

આ પણ વાંચો: VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિયા

જણાવી દઈએ કે મહિલા અનામત અધિનિયમ, 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરે છે. જો આ પ્રસ્તાવ લાગુ થાય છે, તો ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી શકે છે. જો કે આ માટે રાજકીય સંમતિ અને બંધારણીય પ્રક્રિયાની જટિલતાઓને પાર કરવી સરકાર માટે મોટો પડકાર રહેશે.



Source link

Related Articles

Back to top button