અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની ચર્ચા | Ahmedabad: Two Caught With Liquor Near Dudheswar Allegedly Let Off After Settlement

![]()
Ahmedabad Drink And Drive Incident: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રવિવારે (22મી માર્ચ) મોડી રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની એક ઘટનામાં પોલીસે નશામાં ધૂત નબીરાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ‘રહસ્યમય’ સમાધાન કરી લીધું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે.
ચર્ચા એવી પણ છે કે ઝડપાયેલા બે નબીરાઓ પૈકી એક નબીરો શહેરના વગદાર રાજકીય નેતાનો દીકરો છે. આ મામલે પોલીસને વારંવાર પૂછવા છતાં અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ મોટા રાજકીય દબાણ હેઠળ જ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે સમાધાનનો માર્ગ અપનાવ્યો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
રવિવારની રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે બે નબીરાઓ કારમાં દારૂની બોટલ સાથે નશાની હાલતમાં ઝડપાયા હતા. નશામાં ચૂર આ યુવકોએ ફરજ પરના ટ્રાફિક પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જેમાં સ્પષ્ટપણે કારની સીટ પર દારૂની બોટલો દેખાઈ રહી છે.
પોલીસની હાજરીમાં જ ‘ખેલ’ પડ્યો?
વીડિયોમાં એક રહસ્યમય પોલીસ કોન્સ્ટેબલ પણ કારમાં બેઠેલો જોવા મળે છે, જેની નજર સામે જ દારૂની બોટલો પડી હતી. આ ઘટના બાદ ટ્રાફિકના TRB જવાન અને 112ની ટીમે બંને નબીરાઓને માધુપુરા પોલીસ સ્ટેશન સોંપ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે દારૂબંધીના કડક કાયદા હોવા છતાં, પોલીસે આ નબીરાઓનું મેડિકલ ચેકઅપ કરવાની પણ તસદી લીધી નહીં અને થોડી જ વારમાં બંનેને કોઈ પણ કાર્યવાહી વગર બિન્ધાસ્ત જવા દીધા.
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ‘મોટું સેટિંગ’
દારૂ સાથે રંગેહાથ ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવાને બદલે પોલીસે જે રીતે સમાધાન કર્યું, તેનાથી પોલીસની નિયત સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસે તગડો ‘તોડ’ કરીને આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે મારામારીના કેસમાં સમાધાન થતું હોય છે, પરંતુ દારૂ જેવા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં ‘સમાધાન’ કેવી રીતે થઈ શકે? તે એક મોટો પ્રશ્ન છે.
માધુપુરા પીઆઈની ગોળ ગોળ વાતો
આ સમગ્ર મામલે જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશનના PIને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું કે, “તે સમયે ટ્રાફિક પોલીસ અને કોલર વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી મામલો અમારા સુધી પહોંચ્યો નહોતો. અમને વીડિયો જોયા પછી ખબર પડી કે ગાડીમાં દારૂ હતો.” પોલીસ હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની વાત કરે છે. અને વીડિયોના આધારે ગુનો નોંધવાની વાતો કરી રહી છે, જે સ્પષ્ટપણે પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ હોય તેમ લાગે છે.
અણઉત્તર રહેલા પ્રશ્નો
દારૂની બોટલ દેખાવા છતાં યુવકોનો મેડિકલ ટેસ્ટ કેમ ન કરાયો? કારમાં બેઠેલો અજાણ્યો કોન્સ્ટેબલ કોણ હતો અને તેણે કેમ રિપોર્ટ ન કર્યો? શું પોલીસ માટે કાયદા કરતા ‘સમાધાન’ વધુ મહત્વનું છે? હાલ તો વાયરલ વીડિયોએ પોલીસની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો મૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ‘સેટિંગ’ કરનાર પોલીસકર્મીઓ સામે શું પગલાં લે છે.



