‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asia war lpg crisis india All Indian citizens present in Israel are safe

![]()
West Asia War: યુદ્ધમાં ઈરાને ઈઝરાયલના ‘મિનિ ઈન્ડિયા’ એટલે કે ડિમોના શહેર પર હુમલો કર્યો હતો, જેમાં એક બેલેસ્ટિક મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડતાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જે બાદ આજે સોમવારે વિદેશ મંત્રાલય દ્વારા ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, હાલમાં ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. અગાઉ એક ભારતીય નાગરિક ઘાયલ થયો હોવાનો રિપોર્ટ મળ્યો હતો, જેના સંદર્ભમાં ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં છે અને તે વ્યક્તિ હવે જોખમથી બહાર અને સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
કુલ છ ભારતીયોનો ગયો જીવ!
વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે ‘આ સંઘર્ષની સ્થિતિ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ છ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, એક ભારતીય નાગરિક ઘાયલ થયો છે અને અન્ય એક નાગરિક હાલમાં ગૂમ હોવાનું જાણવા મળ્યું છે’. ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય આ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ભરોસો આપ્યો છે.
LPG પુરવઠાની સ્થિતિ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ LPG પુરવઠા અંગે માહિતી આપતા જણાવ્યું કે LPGનો પુરવઠો ચિંતાનો વિષય બનેલો છે. વિતરક જહાજોમાં કોઈ અછત નથી. અફરાતફરીમાં થયેલા LPG બુકિંગમાં ઘટાડો થયો છે અને હવે પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.
વડાપ્રધાનની ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ સાથે વાતચીત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ સાથે પણ વાત કરી છે. વડાપ્રધાને આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી.’ આ હુમલાઓથી પ્રાદેશિક સ્થિરતાને ખતરો પેદા થયો છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન પણ ખોરવાઈ છે. દરિયાઈ માર્ગ પર સ્વતંત્રતાના રક્ષણ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને શિપિંગ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવાના મહત્વને ફરીથી વાગોળ્યુ હતું. તેમણે ઈરાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે ઈરાનના સતત સમર્થનની પ્રશંસા કરી હતી.’
આ પણ વાંચો: ટ્રમ્પ જૂઠું બોલ્યા? વળતાં પ્રહારના ડરથી અમેરિકાની પીછેહઠ, શાંતિ મંત્રણા પર ઈરાનનો જવાબ
દરિયાઈ સુરક્ષા અને જહાજોની વાપસી
પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ દરિયાઈ સુરક્ષા અંગે વાત કરી હતી. સતત જહાજ માલિકો, RPSL એજન્સીઓ અને ભારતીય દૂતાવાસો સાથે સંકલનમાં હોવાનો દાવો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં 13 જહાજો પરત ફર્યા છે. જો 48 કલાકનો સમયગાળો જોવામાં આવે તો કુલ 34 જહાજો પરત ફર્યા છે. ડીજી શિપિંગના કોમ્યુનિકેશન સેન્ટર (24/7 DGCOM સેન્ટર) ને છેલ્લા 24 કલાકમાં 60 ટેલિફોન કોલ્સ અને 129 ઈમેલ મળ્યા છે, જે તમામનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.



