સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે | Local Elections Rahul Gandhi Kejriwal Bhagwant Mann Gujarat Tour

![]()
Gujarat Local Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત ચૂકી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મોટા ગજાના નેતાઓ ગુજરાતની સ્થાનિક ચૂંટણી જીતવા સતત રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે આવતીકાલે 23 માર્ચે રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે છે, તો 24 થી 27 માર્ચ દરમિયાન AAPના સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસ ખેડશે.
સૌરાષ્ટ્રથી પ્રચારના બ્યૂગલ ફૂંકશે AAP
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્ત્વનો છે. 24 થી 27 માર્ચ દરમિયાન બંને નેતાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. 24 તારીખે સાંજે રાજકોટમાં તેમનું આગમન થશે. 25 તારીખે રાજકોટ ખાતે પ્રદેશ નેતૃત્વ બેઠક કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ઉમરેઠની પેટા ચૂંટણી અંગે ચર્ચા તેમજ આગામી વ્યૂહનીતિ ઘડશે. કેજરીવાલ ગુજરાતમાં ત્રણ જાહેર સભાને સંબોધન કરશે જેમાં અમરેલી, લાલપુર અને દેવગઢ બારીયા ખાતે આપ પાર્ટી દ્વારા તૈયારીઓને આદરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધી આવશે ગુજરાત
બીજી તરફ રાહુલ ગાંધી વડોદરા મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર 25 માર્ચે પૂર્ણ થશે. આ પછી 26 માર્ચે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કરી શકે છે. 2021માં ગુજરાતના મુખ્ય શહેરોમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે સુરતથી AAPએ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.
રાહુલ ગાંધીની વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો
વડોદરામાં છેલ્લા સમયતી કોંગ્રેસ પક્ષની જીત થઈ નથી. જો કે, વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસે મજબૂત હાજરી જાળવી રાખી છે. આ પટ્ટાના મુખ્ય પ્રદેશોમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદાનો સમાવેશ થાય છે. 2027ની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે કોંગ્રેસે રાજ્યમાં પક્ષને પુનર્જીવિત કરવા માટે ‘સંગઠન નિર્માણ અભિયાન’ શરૂ કર્યું છે.
કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી
રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને રાજ્ય ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રભારી હાલ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. તાજેતરમાં અટકળો વહેતી થઈ હતી કે, પાર્ટી સચિન પાયલટને કમાન સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નેતાઓ ભૂતકાળમાં પણ ગુજરાતના પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી ઘણા સમય પછી વડોદરાની મુલાકાત આવશે. રાહુલ ગાંધીએ છેલ્લે જૂનાગઢની પહોંચ્યા હતા, ત્યારે તેમણે તમામ જિલ્લા પ્રમુખોની સભાને સંબોધિત કરી હતી.


