गुजरात

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ | save the sparrow campaign animal life care nesting boxes distribution



Save The Sparrow Campaign: અમદાવાદના જૂના વિસ્તારો અને પોળોની શાન ગણાતી ચકલીઓની ચીં-ચીં હવે ધીમે-ધીમે શાંત થઈ રહી છે. આ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા અને તેમનું જતન કરવા માટે શહેરની સામાજિક સંસ્થા ‘એનિમલ લાઈફ કેર’ દ્વારા ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ (સેવ ધ સ્પેરો) અભિયાન તેજ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા નાગરિકોને પોતાના ઘરની બહાર ચકલીઓ માટે માળા (બખોલ) લગાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

આધુનિક મકાનોમાં ગોખલા-છાજલીઓનો અભાવ

સંસ્થાના કાર્યકરોનું કહેવું છે કે અગાઉના સમયમાં ઘરોની ડિઝાઈન એવી હતી કે જેમાં નાના ગોખલા અને છાજલીઓ રહેતી, જ્યાં ચકલીઓ આસાનીથી માળો બનાવી શકતી હતી. પરંતુ આધુનિક સિમેન્ટ-કોંક્રિટના મકાનોમાં આવી જગ્યાઓનો અભાવ હોવાથી ચકલીઓ પાસે રહેઠાણ બચ્યું નથી. વધતું જતું શહેરીકરણ, પ્રદૂષણ, મોબાઈલ ટાવરનું રેડિયેશન અને ઘટતા જતા વૃક્ષો આ નાનકડા પક્ષીના અસ્તિત્વ માટે મોટો ખતરો બની રહ્યા છે.

આ પણ વાંચો: આજે વિશ્વ ચકલી દિવસ: કોંક્રિટના જંગલોમાં ખોવાયો ચકલીઓનો કલરવ, શહેરો છોડી ગામડાં તરફ ઉડાન ભરી

પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે માળાનું વિતરણ

આ અભિયાન અંતર્ગત અમદાવાદના પરિમલ ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું કે, ‘અગાઉના સમયમાં બાળકો ચકલીઓની વાર્તાઓ સાંભળીને મોટા થતા હતા, પરંતુ આજની પેઢી માટે ચકલી જોવી પણ દુર્લભ બની ગઈ છે. જો દરેક પરિવાર પોતાના આંગણે કે ગેલેરીમાં એક નાનો માળો અને પાણીનું કુંડું રાખે, તો આ પક્ષીને ફરી પાછું લાવી શકાય છે.’

લોકભાગીદારીથી જ પક્ષી બચાવ શક્ય

એનિમલ લાઈફ કેર આગામી મહિનાઓમાં આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાની યોજના ધરાવે છે. સંસ્થાના સ્વયંસેવકો શહેરના જૂના વિસ્તારો અને સોસાયટીઓમાં જઈને કૃત્રિમ માળાઓ લગાવી રહ્યા છે જેથી ચકલીઓને સુરક્ષિત પ્રજનન સ્થળ મળી રહે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પણ એટલી જ અનિવાર્ય છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે



Source link

Related Articles

Back to top button