જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી સાંજે 7 અને એન્ટ્રી-ફી 25 રૂપિયા: બુધવારે બંધ | Jamnagar’s historic Bhujia Kotha finally opened its doors yesterday

Jamnagar : નવાનગર (જામનગર) ના માજી રાજવી જામ રણમલજી(બીજા)ના સમયમાં ઈ.સ. 1839માં એટલે કે, આજથી 187 વર્ષ પહેલા રાજ્યની જે ઉંચામાં ઉંચી ઈમારત બની હતી, તે શંકુ આકારના ભુજિયા કોઠાનું માથું 2001ના ભુકંપમાં ભાંગી પડયા બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો ખર્ચ કરીને તેનું રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરી લેવાયું હતું. ત્યારબાદ ગઈકાલે તા.19-માર્ચ-2026 માં આ કોઠો તેના મુળભુત રંગરૂપ ધારણ કરીને ટુરિસ્ટ આકર્ષણ તરીકે ખુલ્લો મુકાયો છે. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુલી રીતે ખુલ્લો મુકાયો હતો.
જેને નિહાળવા માટે ગઈકાલે પ્રથમ દિવસથી જ નાગરિકો જવા લાગ્યા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા શ્રીફળ વધેરીને પ્રારંભ કરાયો હતો, અને ગઈકાલે પ્રથમ દિવસે 97 નાગરિકોએ મુલાકાત લીધી હતી. ભારતીય લોકોને પ્રવેશ માટેની 25 રૂપિયા ફી નક્કી કરાઈ છે, જ્યારે વિદેશી નાગરિકો માટેની 150 રૂપિયા ફી નક્કી થઈ છે.

મહાનગરપાલિકાના તંત્રએ ભુજિયા કોઠામાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવી છે. આ કોઠો બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જો કે, ટીકીટ બારી સાંજે 7 વાગ્યે બંધ થઈ જશે. આ કોઠામાં રૂ.25ની બ્લ્યુ કલરની ટીકીટ લઈને 100 જેટલા દાદરા ચડીને ઉપર વચલા માળ સુધી જવાનું રહેશે. તંત્રએ કોઠામાં જવા માટે એક બેચમાં 50ની સંખ્યા મર્યાદિત રાખી છે. આ 50 લોકો ઉપર જઈને વિવિધ બારીઓમાંથી નગર દર્શન કરી શકશે. છે તમામ નાગરિકોને બ્લુ કાર્ડ આપવામાં આવશે, અને ગળામાં પહેરીને નિદર્શનમાં જોડાઈ શકશે.
ત્યાર બાદ આ 50 લોકોમાંથી જે લોકોને સાવ ઉપલા માળે જવું હોય તે લોકોને 25 વ્યક્તિની સંખ્યામાં વચલા માળેથી એક લાલ કાર્ડ અપાશે. જે મેળવીને પચ્ચીસ લોકો ઉપર જઈ શકશે. આ 25 લોકો પાછા આવે ત્યાર પછી બીજા 25 લોકો ટોચની બારીમાંથી નગર દર્શન કરી શકશે. આ 50 લોકો નીચે આવે પછી જ બીજા લોકોને ઉપર જવા દેવામાં આવશે. ક્યાં સુધી અન્ય મુલાકાત હોય એ વેઇટિંગમાં ઊભા રહેવું પડશે.
રાજાશાહીની ઉંચી ઈમારતના દાદરામાં વધારે વ્યક્તિઓની કોઈ ભીડ ન સર્જાય તે માટે આવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપર પહોંચનારા માટે પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આમ તંત્રએ નવી વ્યવસ્થા સાથે આ ટુરિસ્ટ નજરાણું ખુલ્લું મુક્યું છે.
આગામી દિવસોમાં આ ભુજિયા કોઠામાંથી રણમલ તળાવમાં આવેલા લાખોટા કોઠામાં પહોંચવા રસ્તો ઓળંગવો નહીં પડે. આ માટે એક બ્રિજ બનશે. ટુરિસ્ટ ચેઈન મુજબ ખંભાળીયા ગેઈટની જામનગરની હિસ્ટ્રીની ગેલેરી નિહાળીને મુલાકાતીઓ સીધા ભુજિયા કોઠા સુધી અને ત્યાંથી લાખોટા કોઠા સુધી જઈ શકશે. આ માટે રૂ.13 કરોડના ખર્ચે બે પાથ-વે બ્રિજ નિર્માણાધિન છે. જે કાર્ય પૂર્ણ થઈ ગયા પછી સમગ્ર ચેઇન ચાલુ થઈ જશે.



