गुजरात

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત બેહાલ | Unseasonal rain accompanied by strong winds in many areas of Surendranagar


Surendranagar Weather : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં મોડી રાત્રે ફૂંકાયેલા ‘મિની વાવાઝોડા’એ ખેડૂતો અને રણમાં મીઠું પકવતા અગરિયાઓની કમર તોડી નાખી છે. પવનની ગતિ એટલી તેજ હતી કે ક્યાંક હોર્ડિંગ્સ ઉડ્યા તો ક્યાંક ઘરના પતરા અને ઝુંપડા હવામાં ફંગોળાયા હતા.

રણમાં અગરિયાઓની હાલત કફોડી: સોલાર પેનલો તૂટી, મીઠું ખરાબ થયું

સૌથી ગંભીર સ્થિતિ ખારાઘોડા, નિમકનગર અને કુડાના રણમાં જોવા મળી છે. રણમાં મીઠું પકવતા 2500થી વધુ અગરિયા પરિવારો પર કુદરતે કહેર વર્તાવ્યો છે. વાવાઝોડાને કારણે અગરિયાઓના રહેણાંક ઝુંપડા ઉડી ગયા છે.

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત બેહાલ 2 - image

પાણી ખેંચવા માટે વપરાતી સોલાર પેનલો તૂટી પડતા પ્રત્યેક અગરિયાને અંદાજે ₹20,000 થી ₹25,000નું નુકસાન થયું છે. તો મીઠું બહાર કાઢવાની સીઝન સમયે જ પવન અને વરસાદ આવતા મીઠામાં માટી ભળી ગઈ છે, જેથી ચાર મહિનાની મહેનત હવે પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેતીમાં વ્યાપક પાયમાલી: ‘મોઢામાં આવેલો કોળિયો છીનવાયો’

લખતર અને ધ્રાંગધ્રા પંથકના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. ખેતરમાં તૈયાર ઉભેલા રવિ પાકોને ભારે નુકસાન થયું છે. જીરું, વરિયાળી, ચણા, અજમો અને ઘઉંનો પાક જમીનદોસ્ત થયો છે. ચણાના પાથરા હવામાં ઉડ્યા છે અને પોપટા ખરી ગયા છે, જ્યારે વરિયાળીનો પાક આડો પડી જવાથી હવે તે કામમાં આવે તેમ નથી. દેવાદાર બનેલા ખેડૂતોએ હવે સરકાર સામે સહાય માટે લલકાર કર્યો છે અને વહેલી તકે સર્વે કરી વળતર આપવાની માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત બેહાલ 3 - image

આ પણ વાંચો: કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ

લખતરમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી

લખતર શહેરી વિસ્તારમાં વહેલી સવારે વાતાવરણ પલટાતા ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે હાઈવે પર નાના-મોટા હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકો અટવાયા હતા. અનેક મકાનોના પતરા ઉડ્યા હતા અને વીજળી ગુલ થઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત બેહાલ 4 - image



Source link

Related Articles

Back to top button