‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | Department of Foreign Affairs says all 22 indian vessels stuck in strait of hormuz safe

![]()
Strait Of Hormuz: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સાથે જ ભારતે તે અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય ધ્વજ ધરાવતા અથવા ભારત આવતા જહાજોને સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં, ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી છે.
ભારતે જપ્ત કરેલ જહાજ ઈરાનની માલિકીના નથી!
અગાઉ રૉયટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, ઓળખ છુપાવવા અને સમુદ્રમાં ગેરકાયદે હસ્તાંતરણના આરોપસર ભારતે ત્રણ ટેન્કરો જપ્ત કર્યા હતા.જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, ‘આ પ્રકારની કોઈ પણ ચર્ચા થઈ નથી.’ તેમણે પ્રેસ બ્રીફિંગ દરમિયાન વધુમાં સ્પષ્ટ કર્યું કે જે ત્રણ જહાજોની વાત કરવામાં આવી રહી છે, તે ઈરાનની માલિકીના નથી અને તે ઈરાની જહાજો પણ નથી.
‘સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં’
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચિંતા વ્યક્ત કરતા સ્વીકાર્યું હતું કે આપણા અનેક જહાજો હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. સરકાર ઈરાન અને અન્ય સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં છે અને આ જહાજોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે તમામ જરૂરી વાટાઘાટો કરવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો: ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
ઉલ્લેખનીય છે કે, રિપોર્ટમાં 15 ફેબ્રુઆરીએ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ‘એસ્ફાલ્ટ સ્ટાર’ નામનું જહાજ ઈંધણની તસ્કરીમાં સામેલ હતું, જે તેલ અન્ય જહાજો અલ જાફજીયા અને સ્ટેલર રૂબીમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું.


