અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Woman Found Dead in Burnt Condition Near Noblenagar Crossroads

![]()
Ahmedabad Woman Death Case: અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે નજીક (17મી માર્ચ) એક અજાણી મહિલાની બળેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફૂટપાથ પર કચરાના ઢગલા વચ્ચેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે.
કચરાના ઢગલા વચ્ચેથી મળી લાશ
મળતી માહિતી અનુસાર, નોબલનગર ચાર રસ્તા નજીક આવેલી ફૂટપાથની જાળીઓમાં કચરાની વચ્ચે એક લાશ પડી હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. મૃતદેહ અત્યંત ખરાબ રીતે બળેલી હાલતમાં હોવાથી જોનારા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસને આશંકા છે કે, મહિલાની અન્ય કોઈ સ્થળે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેને ફૂટપાથ પર લાવી કચરા સાથે સળગાવી દેવામાં આવી હોઈ શકે છે. હાલ પોલીસ આ મામલે તપાસી રહી છે.



