સુરતમાં કુતરાના વધતી સમસ્યા વચ્ચે છઠ્ઠા પ્રયાસે કુતરાના સર્વે માટેની એજન્સી મળી | Amidst the growing problem of dogs in Surat an agency for dog survey was found on sixth attempt

![]()
Surat Corporation : સુરતમાં દિવસેને દિવસે રખડતા કુતરાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પાલિકાએ કુતરાની ગણતરી માટે પ્રયાસ કર્યો હતો પરંતુ પાંચ પ્રયાસમાં કોઈ એજન્સી મળી ન હતી. પાલિકાએ આ કામગીરી માટે છઠ્ઠું ટેન્ડર બહાર પાડ્યું છે. તેમાં પાલિકાને આ કામગીરી માટે એજન્સી મળી છે અને પાલિકાએ 9.50 લાખના ખર્ચે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો છે. આ કામગીરી છ મહિના સુધી ચાલશે અને સુરતમાં કુતરાની સંખ્યાનો અંદાજ મળશે.
સુરત શહેરમાં લાંબા સમયથી અટવાયેલી રખડતા કુતરાની વસ્તી ગણતરી હવે આખરે આગળ વધવાની દિશામાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતા કુતરાની સંખ્યા જાણવા અને એનિમલ બર્થ કંટ્રોલ યોજના વધુ અસરકારક રીતે અમલમાં મુકવા માટે સર્વે હાથ ધરવાની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયામાં એજન્સીઓ રસ દાખવતી ન હોવાથી કામગીરી અટકી પડી હતી.
જોકે, હવે છઠ્ઠા પ્રયાસે પાલિકાને એજન્સી મળતા રખડતા કુતરાની ગણતરી અને સર્વે કામગીરી આગળ ધપવા જઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં આ વખતે એકમાત્ર એજન્સી ‘હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઇન્ડિયા ફાઉન્ડેશન આગળ આવી છે. આ એજન્સી દ્વારા 9.50 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં રખડતા કૂતરાની ગણતરી અને સંબંધિત સર્વે કામગીરી કરવાની ઓફર રજૂ કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા ઓફરને મંજૂરી આપી એજન્સીને વર્ક ઓર્ડર પણ જારી કરી દેવાયો છે. જેના કારણે લાંબા સમયથી અટવાયેલી કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.
પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે આ સર્વે માટે છ મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જોકે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં શક્ય તેટલી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં ટીમ દ્વારા મેદાની સ્તરે સર્વે કરીને રખડતા કુતરાની સંખ્યા અંગે ચોક્કસ માહિતી ભેગી કરવામાં આવશે.
કામગીરીમાં માત્ર કૂતરાની કુલ સંખ્યા જ નહીં પરંતુ વિવિધ મહત્વપૂર્ણ માપદંડ પણ ધ્યાનમાં લેવામાં આવશે. તેમાં ઝોન અને વોર્ડ મુજબ રખડતા કુતરાની સંખ્યા, નસબંધી કરાયેલા કૂતરાની સંખ્યા, ઇજાગ્રસ્ત અથવા કમજોર હાલતમાં જોવા મળેલા કૂતરાની સંખ્યા, સ્કીન ઇન્ફેકશન સહિત બીમારીઓથી પીડાતા કૂતરાની સંખ્યા જેવી વિગતો પણ ભેગી કરવામાં આવશે. સાથે સાથે વિસ્તાર મુજબ કૂતરાની સંખ્યાની ટકાવારી તથા માનવી-કૂતરા સંખ્યાનો અનુપાત જેવી માહિતી પણ સર્વે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે.
સર્વે કરનારી એજન્સી દ્વારા કૂતરાની ગણતરી માટે ચોક્કસ મેથોડોલોજી તૈયાર કરીને તેના આધારે સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેના આધારે શહેરમાં રખડતા કુતરાની વાસ્તવિક સંખ્યા સામે આવશે તેમજ ભવિષ્યમાં એનિમલ બર્થ કંટ્રોલ યોજના, નસબંધી અભિયાન અને રખડતા કૂતરાની સમસ્યા પર નિયંત્રણ માટે વધુ અસરકારક આયોજન કરી શકાશે.



