છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી નાસતા 2 આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા | 2 accused in fraud case absconding for 23 years arrested from Maharashtra

![]()
– સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
– મહારાષ્ટ્રના આંબેગાવ પઠાર વિસ્તારમાં છુપાયેલા પિતા-પુત્રની જોડીને પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચી લીધી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૩ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા બે લિસ્ટેડ આરોપીઓને પકડવામાં પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા વર્ષો જૂના વણઉકેલ્યા કેસોના આરોપીઓને ઝડપવા માટે આદેશ કરતા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ડ્રાઇવ યોજી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જીગ્નેશભાઈ સુરેશભાઈ સંઘવી અને સુરેશભાઈ ડાયાલાલ સંઘવીનો સમાવેશ થાય છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસને જાણકારી મળી હતી કે આ બંને આરોપીઓ મહારાષ્ટ્રના આંબેગાવ પઠાર વિસ્તારમાં આવેલા ‘એકાંત એપાર્ટમેન્ટ’માં નામ બદલીને રહી રહ્યા છે. સુરેન્દ્રનગર પોલીસની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી ફ્લેટ નંબર ૨૦૪માં દરોડો પાડી બંનેની અટકાયત કરી હતી. હાલ બંને આરોપીઓને સુરેન્દ્રનગર લાવી જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



