‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો ઉલ્લેખ | Rahul Gandhi Slams Centre Over MSP Promise and US Trade Deal Impact on Indian Agriculture

![]()
Rahul Gandhi : કેન્દ્ર સરકારની કૃષિ નીતિઓ અને ખાસ કરીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલના બહાને ભારતીય કૃષિ વ્યવસ્થાને નબળી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે, ‘2021માં ખેડૂતો સાથે કરવામાં આવેલો C2 + 50% કાનૂની MSPનો વાયદો અત્યાર સુધી કેમ લાગુ કરવામાં આવ્યો નથી? સરકારે જવાબ આપવાનું ટાળતા માત્ર પોતાની જૂની MSP નીતિ જ દોહરાવી દીધી છે.’
રાહુલે MSP બોનલ મામલે પણ કેન્દ્ર પર સાધ્યું નિશાન
સ્વામીનાથન સમિતિના સૂચનોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે સ્વીકાર્યું છે કે તેમણે રાજ્યો પર MSP બોનસ ખતમ કરવાનું દબાણ કર્યું છે. આ અંગે તેમણે લખ્યું કે, ‘સરકારે આ બાબતને કોઈ પણ તર્ક વગર રાષ્ટ્રીય પ્રાથમિકતાઓના નામે સાચી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.’
રાહુલે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર આશંકા વ્યક્ત કરી
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે આશંકા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું નોન-ટ્રેડ બેરિયર્સ ઘટાડવાનો અર્થ MSP અને સરકારી ખરીદીની પ્રક્રિયાને નબળી પાડવી એવો થાય છે? તેમણે આરોપ લગાવ્યો કે, ‘સરકાર આ સવાલથી પણ બચી રહી છે.’
‘સરકાર સ્વાર્થ માટે કૃષિને કુરબાન કરવા તૈયાર’
પોસ્ટના અંતમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘મોદી સરકાર ખેડૂતોને આપેલો વાયદો નિભાવવા માંગતી નથી, પોતાના સ્વાર્થ માટે તે ભારતીય કૃષિને કુરબાન કરવા પણ તૈયાર છે. અમે ખેડૂતોના અધિકાર અને MSPની રક્ષા માટે સંસદની અંદર અને બહાર અવાજ ઉઠાવતા રહીશું.’



