राष्ट्रीय

અનામતમાં ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થાય : સુપ્રીમ | Creamy layer in reservation should not be decided based on income alone: ​​Supreme Court



– ઓબીસી અનામત પર સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો

– ક્રીમી લેયર નક્કી કરવા માતા-પિતાના પદ અને સામાજિક-વહીવટી દરજ્જાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી : સુપ્રીમ

– સુપ્રીમના ચૂકાદાથી સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા છતાં ક્રીમી લેયરમાં સામેલ કરાયેલા નિમણૂકથી વંચિત ઉમેદવારોને રાહત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના અનામત અંગે મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે, કોઈ ઉમેદવાર ક્રીમી લેયરમાં છે કે નહીં તે માત્ર તેની પારિવારિક આવકના આધારે નક્કી કરી શકાય નહીં. બેન્ચે એક કેસની સુનાવણીમાં કહ્યું, પદોની શ્રેણીઓ અને સ્ટેટસ માપદંડોના સંદર્ભ વિના માત્ર આવકના આધારે ક્રીમી લેયરનો દરજ્જો નિશ્ચિત કરવો કાયદાની દૃષ્ટિએ ટકાઉ નથી. ક્રીમી લેયર નક્કી કરવા માટે માતા-પિતાના પદ અને તેમના સામાજિક-વહીવટી દરજ્જાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે.

ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આર. મહાદેવનની બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ અરજીઓને નકારી કાઢતા અનેક યુપીએસસી ઉમેદવારોને રાહત આપી, જેમને સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા છતાં નિમણૂકથી વંચિત કરી દેવાયા હતા, કારણ કે તેમને ખોટી રીતે ક્રીમી લેયરમાં સામેલ કરી દેવાયા હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર આવકના આધારે ક્રીમી લેયર નક્કી કરવું કાયદાકીય રીતે ટકાઉ નથી. ન્યાયાધીશ મહાદેવને તેમના ચૂકાદામાં કહ્યું, કોઈ ઉમેદવારને ક્રીમી લેયર અથવા નોન-ક્રીમી લેયરમાં રાખવા માટે માત્ર આવકના આધારે નિર્ણય કરી શકાય નહીં. આ વિવાદ એવા ઉમેદવારો સાથે સંકળાયેલો હતો, જેમણે ઓબીસી નોન-ક્રીમી લેયર શ્રેણી હેઠળ અનામતનો દાવો કર્યો હતો. તેમના દાવાઓની ખરાઈ કરતી વખતે કાર્મિક અને તાલિમ વિભાગે તેમના માતા-પિતાની આવકના આધારે તેમને ક્રીમી લેયરમાં સામેલ કરી દીધા હતા. તેમાંથી અનેક ઉમેદવારોના માતા-પિતા પીએસયુ, બેંકો અથવા અન્ય કંપનીઓમાં કર્મચારી હતા.

સરકારે ૧૪ ઑક્ટોબર ૨૦૦૪ના રોજ એક સ્પષ્ટીકરણ પત્રને ટાંકીને કહ્યું હતું કે, કોઈ પદની સરકારી પદોથી સમાનતા નિશ્ચિત ના થાય તો આવકના આધારે ક્રીમી લેયર નિશ્ચિત કરી શકાય છે. આ આધારે જે ઉમેદવારોના માતા-પિતાની આવક નિશ્ચિત આવક મર્યાદા કરતાં વધુ હતી, તેમને ઓબીસી અનામતનો લાભ અપાયો નહોતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૧૯૯૩નું ઓફિસ મેમોરેન્ડમ જે ઈંદ્રા સાહની ચૂકાદા પછી જાહેર કરાયું હતું, તેમાં સ્પષ્ટરૂપે જણાવાયું છે કે ક્રીમી લેયરનું નિર્ધારણ મુખ્યરૂપે માતા-પિતાના પદ અને સમાજિક સ્થિતિના આધારે થશે. આ આદેશમાં એમ પણ કહેવાયું હતું કે પગાર અને કૃષિ આવકને સંપત્તિ પરીક્ષણમાં સામેલ કરી શકાય નહીં. આવકનું પરીક્ષણ માત્ર એવી બાબતોમાં લાગુ થશે જ્યાં પદના આધારે સામાજિક સ્થિતિ નિશ્ચિત થઈ શકતી ના હોય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૨૦૦૪નું સ્પષ્ટીકરણ ૧૯૯૩ની નીતિને નબળી કરે અથવા નિષ્પ્રભાવી કરી દે એવી રીતે લાગુ કરી શકાય નહીં. માતા-પિતાની આવકને સાથે ઉમેરીને ક્રીમી લેયર નિશ્ચિત કરવું ખોટું છે અને તેનાથી બંધારણમાં નિહિત અનામતની મૂળ ભાવના પર અસર થાય છે. એક સ્પષ્ટીકરણ મૂળ નીતિમાં નવો નિયમ ઉમેરી શકે નહીં. સુપ્રીમે એ પણ જણાવ્યું કે, સરકારની વ્યાખ્યાથી સરકારી કર્મચારીઓ અને પીએસયુ-ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ વચ્ચે અસમાનતા પેદા થઈ રહી હતી. સુપ્રીમના આ ચૂકાદાથી સરકાર પર ક્રીમી લેયરની ઓળખ કરવા ૧૯૯૩ના નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધી શકે છે.



Source link

Related Articles

Back to top button