યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું – ‘અમે શાંતિના હિતેચ્છુ’ | PM Modi Talks to Iran President Pezeshkian Over Energy Crisis 2026

![]()
PM Modi Talk With Iran President : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારેલા અગ્નિ જેવા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. વર્તમાન યુદ્ધની સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સીધી અને અત્યંત મહત્વપૂર્ણ મંત્રણા ગણાઈ રહી છે.
શાંતિ અને કૂટનીતિ પર ભાર
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથેની વાતચીત બાદ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, તેમણે મધ્ય પૂર્વની ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રદેશમાં વધતો તણાવ, નિર્દોષ નાગરિકોના મોત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થઈ રહેલું નુકસાન ચિંતાજનક છે. ભારત હંમેશા શાંતિનો પક્ષધર રહ્યો છે અને વાતચીત તેમજ કૂટનીતિ દ્વારા જ ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઓઇલ સંકટ પર ચર્ચા
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લગભગ બંધ કરી દીધું છે. આ તે જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના પાંચમા ભાગનો તેલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે. નાકાબંધીને કારણે ભારતમાં પણ ઈંધણની તંગી અને ભાવ વધારાનો ભય તોળાઈ રહ્યો છે, જે સંદર્ભે PM મોદીએ ભારત માટે અવિરત ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા બાબતે ચર્ચા કરી છે.
ભારતીય ટેન્કરોને મળી શકે છે રાહત
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી એસ. જયશંકરની ઈરાની સમકક્ષ સાથેની મંત્રણા બાદ હવે ઈરાને ભારતીય તેલ ટેન્કરોને સુરક્ષિત રીતે પસાર થવા દેવાની તૈયારી દર્શાવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર અંદાજે 20 જેટલા તેલ અને ગેસ ટેન્કરોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સલામત રીતે બહાર કાઢવા માટે ઈરાન સાથે સતત સંપર્કમાં છે.



