એ.એસ.આઇ.નો નિવૃત્તિના ૬ મહિના અગાઉ ગળા ફાંસો ખાઇને આપઘાત | ASI commits suicide by hanging himself 6 months before retirement

![]()
વડોદરા,તરસાલી રહેતા અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા એ.એસ.આઇ.એ નિવૃત્તિના છ મહિના અગાઉ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૃ કરી છે.
મળતી માહિતી મુજબ,તરસાલી અનુ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષના કૃષ્ણકાંત શિવસિંહ સોરઠીયા પોલીસ હેડ ક્વાટર્સના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા હતા. આજે બપોરે રોજના ક્રમ મુજબ તેઓ નોકરીથી આવીને જમીને પોતાની રૃમમાં જઇને સૂતા હતા. રોજ તેઓ ચાર વાગ્યે નોકરી જતા હતા. પરંતુ, ચાર વાગ્યા છતાં તેઓ નહી ઉઠતા ઘરે હાજર પુત્રવધૂ તેઓને ઉઠાડવા ગઇ ત્યારે જોયું તો કૃષ્ણકાંતે દુપટ્ટાથી ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પરિવારના અન્ય સભ્યોેને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને નીચે ઉતારી જરૃરી કાર્યવાહી કરી સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આવતીકાલે પી.એમ. કરાવવામાં આવશે. કોઇ ચિઠ્ઠી પોલીસને મળી આવી નથી. તેમજ મોબાઇલમાં પણ કોઇ એવો મેસેજ નથી. જેથી, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, એક જ અઠવાડિયાં બીજા પોલીસ કર્મચારીનો ેઆપઘાત છે.
કપુરાઇના મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ
વડોદરા,
કપુરાઇ પોલીસ સ્ટેશનની શી ટીમમાં ફરજ બજાવતા અને આજવારોડ વોર્ડ – ૫ ની ઓફિસ નજીક શીવાનંદ સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન રમેશભાઇ પ્રજાપિત (ઉં.વ.૨૮) ે મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામના વતની હતા. તેમણે પણ ગત પ મી તારીખે ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેનું કારણ પણ હજી અકબંધ છે.
પત્ની અને પુત્ર જંબુસર પ્રસંગમાં ગયા હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એ.એસ.આઇ.ના પત્ની, પુત્ર તથા અન્ય પરિવારજનો જંબુસર પ્રસંગમાં ગયા હતા. જ્યારે ઘરે કૃષ્ણકાંત, તેમની પુત્રવધૂ અને પૌત્ર હતા. નોકરીથી આવીને જમીને રૃમમાં જઇને તેઓ સૂવા માટે ગયા હતા. તે દરમિયાન જ તેમણે ગળા ફાંસો ખાઇ લીધો હતો.



