ટેન્કરમાંથી ૨૧૦૦૦ લિટર ઘી ઢોળાયું, લોકો વાસણ લઇને દોડયા | 21 000 liters of ghee spilled from a tanker people ran with utensils

હૈદરાબાદ,૧૦ માર્ચ,૨૦૨૬,મંગળવાર
પાણીની કરકસરની વાત આવે ત્યારે ઘીની જેમ વાપરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ મોંઘા ભાવનું ૨૧૦૦૦ લિટર ઘી ઢોળાતા લોકોએ ઘી ભરવા માટે બાલટીઓ લઇને પડાપડી કરી હોવાની ચકચારી ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરમાં ઘી ભરેલું ટેન્કર કડપ્પા જિલ્લાના કોંડારુરમ મંડલમાં ઉથલી પડયું હતું. ટ્રક ડ્રાઇવરે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા આ પરિસ્થિતિ સર્જાઇ તેનો લોકોએ ભરપૂર લાભ ઉઠાવીને ઘી ભરવા લાગ્યા હતા. કોંડાપુરમ પોલીસને માહિતી મળી હતી કે ટેન્કર પુણેથી તિરુમાલા જઇ રહયું હતું.

ઘીનું ટેન્કર ચિત્રાવતી નદીના પુલને પાર કરીને આગળ ગારા માટીવાળા રસ્તા પર બીજા વાહન સાથેની ટક્કર રોકવા માટે ચાલકે બ્રેક મારી હતી. આ ઘટનામાં ડ્રાઇવર અને તેના સહાયકને સામાન્ય ઇંજ્જા થઇ હતી. બ્રેક મારવાની સાથે જ ધી ભરેલું વાહન પલટી ગયું હતું. જોત જોતામાં આસપાસથી કૂતુહલવશ લોકો એકઠા થયા હતા. પોલિસે ઘી ઉપાડી રહેલા લોકોને હટાવીને કેસ નોંધીને તપાસ શરુ કરી હતી. ઘી ભરીને લઇ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લોકો બાલટી ઉપરાંત જે મળ્યું તે વાસણ લઇને ઘી ઉસેડતા નજરે ચડતા હતા. કેટલાક યુઝર્સે ઘી લેનારાનો બચાવ કરતા લખ્યું હતું કે આમ પણ ઘી જમીન પર વેડફાઇ રહયું હતું માટે સામાન્ય લોકો ઘી ઘરે લઇ જતા હોય તેમાં જરાંય ખોટું નથી.



