માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middlemen exposed in Matar land scam

![]()
– ભ્રષ્ટાચારના વિષચક્રમાં સાચા ખેડૂતો પાયમાલ
– સત્તાનો દૂરપયોગ કરી સાચા ખેડૂતોને ‘બિન-ખેડૂત’ ઠરાવ્યા : લાખોની લાંચ અને આત્મહત્યાના પ્રયાસ બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકામાં વર્ષ ૨૦૨૨મા તત્કાલીન મહેસૂલ મંત્રીની મુલાકાત બાદ બહાર આવેલા કરોડોના જમીન કૌભાંડમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં તત્કાલીન મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓએ વચેટિયાઓ સાથે મળીને આથક લાભ મેળવવા માટે સાચા ખેડૂતોને બિન-ખેડૂત ઠરાવી તેમની જમીનો છીનવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે પીડિત ખેડૂતે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચારની તમામ સીમાઓ વટાવી દીધી હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૨મા રાજ્ય સરકારની તપાસ દરમિયાન અંદાજે ૪૦૦ કરોડની ૨૦૦૦ વીઘા જમીન ૫૦૦થી વધુ બોગસ ખેડૂતોએ ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. આ તપાસના બહાને તત્કાલીન મામલતદાર વી.પી. પુરોહિત, ડેપ્યુટી કલેક્ટર વિમલ ચૌધરી અને નાયબ મામલતદાર હર્ષદ પરમારે સત્તાનો બેફામ દૂરુપયોગ શરૂ કર્યોે હતો, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જેમાં કાયદેસરના પુરાવા ધરાવતા સાચા ખેડૂતોને જાણી જોઈને બિન-ખેડૂત ઠરાવી તેમની જમીનો સરકાર હસ્તક ખાલસા કરવાના હુકમો કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ તોસીફ ખાન પઠાણ, વિપુલ મેધા અને જીગ્નેશ મકવાણા જેવા વચેટિયાઓ મારફતે તપાસ બંધ કરવાના નામે ખેડૂતો પાસે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી, તેવા પણ આક્ષેપો ઉઠયા છે. જેમાં એક પીડિત મોહસીન શેખના કિસ્સામાં તેમના વડીલો ૧૯૩૦થી ખેડૂત હોવા છતાં અને તેમના જ પરિવારના અન્ય સભ્યોને ખેડૂત માનવામાં આવ્યા હોવા છતાં, અધિકારીઓએ કિન્નાખોરી રાખી તેમને બિન-ખેડૂત જાહેર કર્યા હતા. આ વહીવટી ત્રાસ અને આથક પાયમાલીથી કંટાળીને અરજદારે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યા હતો. જોકે બાદમાં કલેક્ટરના આદેશથી થયેલી ફેરતપાસમાં અરજદાર સાચા ખેડૂત હોવાનું સાબિત થયું હતું. આ પ્રકરણમાં અધિકારીઓએ ૩૪ જેટલા બોગસ ખેડૂતોને કાયદેસર ઠરાવી દઈ સરકારને અંદાજે ૧૦૦ કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં આ સમગ્ર કૌભાંડમાં સામેલ ૪ અધિકારીઓ સહિત ૨૧ શખ્સો સામે એફઆરઆઈ નોંધવા માટે હાઈકોર્ટમાં કાયદાકીય લડત તેજ બની છે.
બોગસ ખેડૂતોને ક્લીનચિટ આપવાનું મસમોટું આથક કૌભાંડ
તત્કાલીન મહેસૂલ મંત્રીએ ૫૦૦ જેટલા બોગસ ખેડૂતો હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ અધિકારીઓએ તેમાંથી માત્ર ૫૦થી ૬૦ લોકોને જ બિન-ખેડૂત જાહેર કર્યા હતા. બાકીના ૪૫૦થી વધુ કેસોમાં પ્રતિ કેસ અંદાજે ૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલીને તપાસ ફાઈલે કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. આ રીતે અંદાજે ૨૨ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર માત્ર મામલતદાર કચેરી કક્ષાએ જ થયો હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
સાચા ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ અને વહીવટી લડત
અધિકારીઓના અમાનુષી ત્રાસ અને ખોટા હુકમોને કારણે વર્ષોેથી ખેતી કરતા સાચા ખેડૂતોના પરિવાર રોડ પર આવી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતા અને આથક રીતે પાયમાલ થઈ જતાં એક અરજદારે ૨૧-૧૧-૨૦૨૪ના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યોે હતો. આ ઘટના બાદ જાગેલા તંત્રએ જ્યારે રેકોર્ડની ફેરતપાસ કરી ત્યારે તમામ કૌભાંડોની કડીઓ એકબીજા સાથે જોડાવા લાગી હતી.
હાઈકોર્ટમાં 21 લોકો સામે પિટિશન અને તપાસની માંગ
સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ૪ ઉચ્ચ અધિકારીઓ, ૩ વચેટિયાઓ અને ૧૪ જેટલા બોગસ ખેડૂતો મળી કુલ ૨૧ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદારે માંગ કરી છે કે, આ સમગ્ર મામલાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવે. ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓની મિલકતોની તપાસ ઈડી દ્વારા કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
વચેટિયાઓ દ્વારા અધિકારીઓના નામે લાખોની ઉઘરાણી
જમીન પ્રકરણની તપાસમાં તોસીફ ખાન પઠાણ, વિપુલ મેધા અને જીગ્નેશ મકવાણા જેવા ખાનગી વ્યક્તિઓ વચેટિયા તરીકે સક્રિય હતા, તેવા પણ આક્ષેપો ચર્ચાઈ રહ્યાં છે. આ શખ્સોએ અધિકારીઓ વતી ખેડૂતો પાસે ૨૦થી ૨૫ લાખ રૂપિયા જેવી રકમની માંગણી કરી હતી. તોસીફ ખાન નામના શખ્સે પોતે મહેસૂલ વિભાગના વહીવટદાર હોવાનું જણાવી ખેડૂતો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો એન્ટી કરપ્શન બ્યુરો અને ઈડી સમક્ષ પહોંચી છે.



