गुजरात

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on General Secretary by BJP leader in presence of MLA in Damnagar



નવા બનનાર બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે અફરા-તફરી

ધારિયા જેવા ઘાતક હથિયાર વડે સરાજાહેર કરવામાં આવેલા હુમલાનું કારણ અકબંધ, પારિવારિક પ્રશ્ન હોવાનું તારણ, પોલીસ તપાસ શરૂ

અમરેલી: લાઠી તાલુકાના દામનગર ખાતે ઠાંસા રોડ પર આજે નવા મંજૂર થયેલા બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર ધારિયા જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ હુમલો લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં ભાજપના જ અન્ય એક અગ્રણી દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, હુમલાનું કારણ અકબંધ છે અને પારિવારિક પ્રશ્ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દામનગરમાં ઠાંસા રોડ પર આજે સવારના અરસામાં બ્રિજ નિર્માણ કાર્ય ચાલુ થવા પહેલા ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાજપના સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો અને ૫૦ જેટલા કાર્યકરોની હાજરીમાં જ્યારે પૂજન વિધિ થઈ રહી હતી, ત્યારે અચાનક અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર એવા ભાજપના જ આગેવાન હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તેજા પર ધારિયા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી ભારે અફરા-તફરી મચી હતી. બાદમાં માથામાં ઘા લાગતા લોહીલુહાણ થઈ ગયેલા ભાજપ મહામંત્રીને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દામનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મોડી સાંજે ઇજાગ્રસ્ત પ્રકાશ તેજાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના ધારાસભ્યની હાજરીમાં સરાજાહેર થયેલા આ હુમલાને પગલે દામનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, ભાજપના જ બે નેતાઓ વચ્ચે જાહેરમાં થયેલા આ બનાવે રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. મોડી સાંજ સુધી તો હુમલાનું કારણ અકબંધ રહ્યું હતું અને પારિવારિક પ્રશ્ન હોવાનો દાવો કરાયો હતો.

રાજકીય કારણોસર નહીં, પણ અંગત અદાવત છેઃ ધારાસભ્ય

‘દામનગરમાં આજે વિકાસકાર્યના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હુમલો કરનાર ભાજપ આગેવાન હીરાભાઈ ઠાંસા ગામના વતની છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો કોઈ રાજકીય કારણોસર નહીં, પરંતુ અંદાજે દોઢ વર્ષ જૂના પારિવારિક પ્રશ્ને અંગત અદાવતને કારણે થયો હોવાનું જણાય છે. પૂજન વિધિ વખતે અચાનક આ ઘટના બની હતી. જે બાબતે કાનૂની કાર્યવાહીની તજવીજ ચાલુ છે અને પક્ષ તરફથી પણ તપાસ કરીને જરૂરી પગલા લેવાશે’ તેમ ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું.



Source link

Related Articles

Back to top button