દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું | Bulldozer hits house of accused in Delhi murder case

![]()
મ્યુનિ. અનેક પોલીસ જવાનો અને બુલડોઝર સાથે પહોંચ્યું
સમગ્ર ઘર નહીં પણ ગેરકાયદે બાંધકામ જ તોડવામાં આવ્યું છે : મ્યુનિ.ની સ્પષ્ટતા
નવી દિલ્હી: દિલ્હીના ઉત્તમ નગરમાં ધુળેટીએ રંગ લગાવવા જેવી બાબતમાં એક યુવકની હત્યા કરી દેવાઇ હતી, જેને પગલે તંગદીલી વચ્ચે દિલ્હી મ્યુનિ. કોર્પોરેશને હત્યાના આરોપીના ઘરનો ગેરકાયદે હિસ્સો બુલડોઝરથી તોડી પાડયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
ઉત્તમનગરમાં બુલડોઝર કાર્યવાહી નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા
મ્યુનિ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ ઘર નહીં પણ માત્ર ગેરકાયદે બાંધકામ કરાયું હતું તેને જ તોડવામાં આવ્યું છે. દબાણ દૂર કરવાના ભાગરૂપે જે અભિયાન ચાલી રહ્યું છે તે હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સીઝન ચોમાસાની છે, અહીંયા ગેરકાયદે બાંધકામને કારણે પાણી ભરાય છે જેથી આવા તમામ અવરોધો દૂર કરવા આ ડિમોલિશન ડ્રાઇવ ચાલી રહી છે.
જ્યારે ઉત્તમ નગરમાં આરોપીઓના ઘર પર ગેરકાયદે બાંધકામ તોડવા બુલડોઝર ચાલી રહ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સમગ્ર કાર્યવાહીને નિહાળી હતી. ૪ માર્ચના રોજ આ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના યુવક તરુણની હત્યા કરી દેવામાં આવી હતી. તરુણના પરિવારની એક બાળકીએ રંગીન પાણી ભરેલો ફુગો અન્ય ધર્મની મહિલા પર ફેંકતા વિવાદ શરૂ થયો હતો. અગાઉ તરુણના પરિવારે આરોપીઓનું એન્કાઉન્ટર કરવા અને તેમના ઘર પર બુલડોઝર ફેરવવાની માગ કરી હતી. જ્યારે કેટલાક લોકો દ્વારા આરોપીઓના ઘરને અગાઉ આગ પણ લગાવાઇ ચુકી છે. આ મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.



