૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના રંગોથી રંગાયા | phuldol utsav celebrated at Sarangpur in presence of Mahant swami maharaj

અમદાવાદ, રવિવાર
રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે.
આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ-વિદેશના ૭૫૦૦૦ જેટલાં આબાલવૃદ્ધ હરિભક્તો-ભાવિકોથી બી.એ.પી.એસ. સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં રચવામાં આવેલ ઉત્સવ સ્થળ ઊભરાઈ ગયું હતું.
. આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભામંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો હતો.
‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત યોજાયેલ પુષ્પદોલોત્સવની મુખ્ય સભાની શરૂઆત સાંજે સંગીતજ્ઞ સંતો અને યુવકોએ રંગોત્સવના પ્રાસંગિક પદો ગાઈને કરાવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, કાર્યો, પ્રભાવ અને સંદેશને આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
સંસ્થાના વરિષ્ઠ સંત વિવેકસાગર સ્વામીએ પુષ્પદોલોત્સવ ઉત્સવ માટે કહ્યું કે સૌએ ભગવાનના રંગે, ભક્તિના રંગે રંગાવાનું છે. ‘સત્પુરુષ પવિત્ર કરે છે’, ‘‘સત્પુરુષ પરમાત્મા સાથે જોડે છે’ અને ‘સત્પુરુષ પરમપદ આપે છે’આ ત્રણ થીમ અંતર્ગત સંસ્થાના વિદ્વાન સંતો પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. ભદ્રેશ સ્વામી, પૂ. આનંદસ્વરૂપ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો પૂ. ઈશ્વરચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પૂ. કોઠારી સ્વામી દ્વારા હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને મનનીય પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંત ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યુંહતું કે ‘આપણે આ સમૈયો કરીએ છીએ, એનું કારણ જ એછેકે અંતઃકરણ શુદ્ધ કરવું. બધાને અંતઃકરણ શુદ્ધ કરીને ભક્તિનો રંગ ચઢાવવાનો છે. અંતરમાં એક ભગવાન સિવાય બીજું કાંઈન રહે એ રીતે અંતર રંગવાનું છે.’ઉત્સવનીચરમસીમારૂપે, મહંત સ્વામી મહારાજે અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું પૂજન કર્યું હતું અને રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો.
ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ઘ્ય અર્પણ કર્યા બાદ મહંત સ્વામી મહારાજે બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો પર રંગવર્ષા કરી હતી, તેમજ સંતોએકલાત્મકપુષ્પહાર દ્વારા મહંત સ્વામી મહારાજને વધાવ્યાહતા.
ત્યારબાદ મહંત સ્વામી મહારાજે અગ્ર મંચ પર લગાવેલી પિચકારીઓમાંથી સુગંધી કેસૂડાના કેસરી જળની ધારાઓ દ્વારા હજારો હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકોને રંગવર્ષા દ્વારા તરબોળ કર્યા હતા. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો-હરિભક્તોના કુશળ આયોજનથી આજનો ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો હતો. આ વિરાટ આયોજનને સફળ બનાવવા ૩૦ જેટલા સેવા વિભાગોમાં ૫૦૦૦ સ્વયં સેવક-સેવિકાઓએ સેવા કરી હતી.



