વડોદરામાં મહારાષ્ટ્રના પત્રકાર પર હુમલો, ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો | Maharashtra journalist attacked in Vadodara case registered against three unknown persons

![]()
વડોદરા શહેરમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવેલા મહારાષ્ટ્રના પત્રકાર પર અજાણ્યા ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના વિકાસ રામચંદ્ર જગતાપ ક્રાઈમ ન્યૂઝમાં પત્રકાર તરીકે કાર્યરત છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ 6 માર્ચના રોજ તેઓ મુજમહુડા ભૈરવનગર વિસ્તારમાં ગ્રાઉન્ડ ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે વડોદરા આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ તેઓ હાથ ધોવા માટે ઉભા હતા ત્યારે અચાનક પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા.
ફરિયાદ મુજબ, એક વ્યક્તિએ તેમને પાછળથી પકડી રાખ્યા હતા જ્યારે અન્ય બે શખ્સોએ તેને માર માર્યો હતો. હુમલા પાછળ અગાઉ પ્રકાશિત કરાયેલા સમાચારની અદાવત હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે.
ફરિયાદીનું કહેવું છે કે, 11 ફેબ્રુઆરીના રોજ મુંબ્રા પોલીસ સ્ટેશન (થાણે) ખાતે નોંધાયેલી એક ફરિયાદ અંગે તેમણે સમાચાર પ્રકાશિત કર્યા હતા.
આ ફરિયાદ નાથપંથી ડવરી ગોસાવી સમાજના એક સભ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર સામાજિક બહિષ્કાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મુદ્દે સમાચાર પ્રકાશિત કરીને તેમજ વિવિધ વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યા બાદ તેમને ધમકીઓ મળતી હતી અને સમાજમાંથી બહિષ્કૃત કરવાની ચીમકી આપવામાં આવતી હતી.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શુભમ ઉર્ફે રાવણ અગીનાથ સિંધે (રહે. મહારાષ્ટ્ર)એ હુમલો કરાવ્યો હોવાની શંકા છે. ઉપરાંત ખંડણી વસૂલ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે.


