યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla port export crisis iran israel war impact

![]()
Bhuj News : અખાતી દેશો વચ્ચે ચાલતા યુદ્ધના કારણે કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 જેટલા કન્ટેનર ફસાયાનો અંદાજ છે. પશ્ચિમ એશિયામાં નિકાસ માટેના ચોખા સહિતનો જથ્થો અટવાઈ પડ્યો છે. એલપીજી, સલ્ફર અને જિપ્સમ સહિતની આયાતોને ભારે અસર પહોંચી છે. દ્રાક્ષ સહિતની ખાદ્ય ચીજોને અસર પહોંચી છે. 20 ફૂટના કન્ટેનરનો નિકાસ માટેનો ભાવ 2000 ડોલરથી 48 કલાકમાં વધીને 2600 ડોલર થયો છે.
અખાતી દેશોમાં યુદ્ધના કારણે કફોડી સ્થિતિ
અખાતી દેશોમાં યુદ્ધના કારણે કંડલા પોર્ટ પર અંદાજે 1500 જેટલા કન્ટેનરો નિકાસ થયા વિનાના પડ્યા છે. નિકાસના કન્ટેનરોમાં ચોખાના શિપમેન્ટ, એલપીજી, બલ્ક કાર્ગો જેવા કે સલ્ફર અને જિપ્સમની હેરફેર અટકી જવા પામી છે. યુદ્ધના કારણે કંડલા પોર્ટ અને મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરૂ પોર્ટને વધુ અસર પહોંચી છે. આ બંને મહત્વના પોર્ટ પર આયાત-નિકાસ વધુ થાય છે. પોર્ટના ટર્મિનલો પર હજારો કન્ટેનરો અટવાતા શિપિંગ વ્યવસાયકારો ચિંતાતુર બન્યા છે. જહાજરવાનગીમાં મોકુફી, ઓપરેશનમાં વિલંબ અને ગેટ એક્ટિવિટીમાં સસ્પેન્સના કારણે લોજિસ્ટિક સેવાઓ ખોરવાઈ છે.
કરોડો રૂપિયાનો માલ અટવાઇ પડ્યો
ભારતમાંથી તાજા ફળો, શાકભાજી મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં નિકાસ થાય છે. રમઝાન મહિનામાં નોંધપાત્ર નિકાસ થાય છે. શનિવારે યુદ્ધ પહેલા નિકાસ માટે નીકળી ગયેલા કન્ટેનરો અટવાઈ પડ્યા છે. નિકાસકારો અડધા ભાવે માલ વેચવા તૈયાર છે. ડુંગળી લઈને પહોંચી ગયેલા નિકાસકારો માલ રવાના કરી શકે તેવી સ્થિતિમાં નથી. માલ બગડી જવાની ભીતિ છે. 20 ફૂટના કન્ટેનરનો નિકાસ માટેનો ભાવ 2000 ડોલર હતો જે વધીને 48 કલાકમાં 2600 ડોલર થયા છે.



