સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | Surat Family Accidentally Immerses ₹2 Lakh in Canal with Puja Items Fire Team Recovers Cash

Surat News: સુરતના પુણા રોડ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે અજાણતામાં પૂજાના ફૂલો સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જો કે, ફાયર વિભાગની સતર્કતા અને મહેનતને કારણે આ પૂરેપૂરી રકમ સલામત રીતે પરિવારને પરત મળી છે.
કેવી રીતે બની આ ઘટના?
મળતી માહિત અનુસાર, પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતો એક પરિવારમાં થોડા દિવસો પહેલા ધાર્મિક વિધિ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા સંપન્ન થયા બાદ તેની સામગ્રી અને ફૂલો તિજોરી પાસે રાખવામાં આવ્યા હતા. શનિવારે પરિવારે આ પૂજાપો એક પ્લાસ્ટિકની થેલીમાં ભર્યો હતો. પરંતુ ઉતાવળમાં તિજોરીમાં રાખેલા 2 લાખ રૂપિયાના રોકડા પણ આ જ થેલીમાં મુકાઈ ગયા હતા, જેનો પરિવારને અંદાજ રહ્યો નહોતો.
આ પણ વાંચો: સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર
પરિવારના સભ્યોએ પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં આ સામગ્રી પધરાવી દીધી હતી. ઘરે પરત ફર્યા બાદ જ્યારે તિજોરી તપાસી ત્યારે ખ્યાલ આવ્યો કે 500 રૂપિયાની નોટોના 4 બંડલ ગાયબ છે. થોડી જ વારમાં તેમને સમજાયું કે આ રકમ પૂજાના ફૂલો સાથે કેનાલમાં જતી રહી છે.

પરિવારે ફાયર વિભાગનો માન્યો આભાર
ઘટનાની જાણ થતા જ ગભરાયેલા પરિવારે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ હોવા છતાં ફાયર માર્શલોએ પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ ફાયરની ટીમને કેનાલના તળિયેથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં તપાસ કરતા 500 રૂપિયાની નોટના ચાર બંડલ સુરક્ષિત મળી આવ્યા હતા.
પોતાની મહેનતની કમાણી પરત મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે તમામ રોકડ રકમ પંચોની હાજરીમાં પરિવારને સોંપી હતી. સ્થાનિક લોકોએ પણ ફાયર વિભાગની આ ત્વરિત અને પ્રમાણિક કામગીરીના વખાણ કર્યાં હતા.



