નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smuggling at night on Peej Road in Nadiad city captured on CCTV

![]()
– રજૂઆત બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
– વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભય અને તંત્ર સામે રોષ : તંત્રની કામગીરી સામે પણ સવાલો
નડિયાદ : નડિયાદ શહેરના પીજ રોડ ઉપર આવેલી કદમનગરી સોસાયટી પાછળ પાણીની ટાંકી પાસે મોડી રાત્રે ગાયોની તસ્કરી કરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ છે. રાત્રિના સમયે અજાણ્યા શખ્સો વાહન લઈને આવી રખડતા પશુઓને ઉઠાવી જતા હોવાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
આ મામલે સ્થાનિકોેએ પોલીસ મથકે રજૂઆત કરી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નડિયાદમાં છેલ્લા કેટલાક સમયથી અવાવરૂ જગ્યાઓ પરથી ગૌવંશ કાપી નાખેલી હાલતમાં મળી આવતા હતા, ત્યારે હવે પશુઓની ચોરી કરતી આ ટોળકી સક્રિય થતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પીજ રોડ પર પાણીની ટાંકી પાસે ગત રાત્રે કેટલાક શંકાસ્પદ શખ્સો ગાડી લઈને આવ્યા હતા અને માર્ગ પર બેઠેલા પશુઓને જબરદસ્તી ભરી જવાનો પ્રયાસ કર્યાે હતો. સવારે જ્યારે સ્થાનિકોને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે સીસીટીવી ફૂટેજ તપાસતા તસ્કરીનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
અગાઉ ૧૫ દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં સ્કાર્પિયો ગાડી લઈને આવેલા તસ્કરોએ ગાયોને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ સ્થાનિક મહિલાઓ જાગી જતા અને બૂમાબૂમ કરતા તસ્કરો વાહન ભગાવી નાસી છૂટયા હતા. વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયની સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ તસ્કરો હવે બેફામ બન્યા છે. હાલમાં તો પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
તંત્રની આળસ અને પાલિકાના ઢોર વિભાગની બેદરકારી જવાબદાર
હાઈકોર્ટ અને રાજ્ય સરકારની કડક ગાઈડલાઈન હોવા છતાં નડિયાદના રાજમાર્ગોે પર પશુઓનો અડિંગો યથાવત્ જોવા મળે છે. નડિયાદ પાલિકા તંત્ર અને ઢોર વિભાગની ઘોર બેદરકારીને કારણે રાત-દિવસ રસ્તાઓ પર પશુઓ રખડતા હોય છે, જે તસ્કોરોને મોકળું મેદાન પૂરું પાડે છે. જો તંત્ર દ્વારા રખડતા ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી પ્રમાણિકતાથી કરવામાં આવતી હોત તો પશુઓની તસ્કરી કે કતલ કરવાના બનાવો પર આપોઆપ લગામ લાગી શકી હોત. જો કે, પશુ પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એજન્સીના કર્મચારીઓ અને ગૌમાલિકો વચ્ચે સાંઠગાંઠ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.



