राष्ट्रीय

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the diabetes drug metformin works has been revealed after 60 years



– મગજમાં ચોક્કસ પ્રોટીનની હાજરીમાં ચેતાકીય યંત્રણા થકી દવા કાર્યરત બને છે 

– મગજ ચયાપચયની ક્રિયાને નિયંત્રિત કરવા પોષક દ્રવ્યો અને અંત:સ્ત્રાવોના પ્રમાણને પારખી બ્લડ સુગર લેવલને તે પ્રમાણે સતત એડજસ્ટ કરે છે

નવી દિલ્હી : ટાઇપ ટુ ડાયાબિટિસની સારવારમાં છ દાયકા કરતાં વધારે સમયથી જેનો ઉપયોગ થાય છે તે અસરકારક, કિફાયતી અને સુરક્ષિત દવા મેટફોર્મિન કેવી રીતે બ્લડ સુગર ઘટાડે છે તે સંપૂર્ણપણે સમજી શકાયું નહોતું. હવે સંશોધકોને આ સવાલનો જવાબ મળી ગયો છે. અગાઉ જેની કોઇને જાણ નહોતી તેવી મગજની ચોક્કસ યંત્રણાનો ઉપયોગ કરી મેટફોર્મિન બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે. બેયલોર કોલેજ ઓફ મેડિસિનના વિજ્ઞાાનીઓ દ્વારા કરવામાં આવેલાં આ અભ્યાસને સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. 

 દાયકાઓ સુધી એમ માનવામાં આવતું હતું કે  મેટફોર્મિન લિવરમાં ગ્લુકોઝના ઉત્પાદનને ઘટાડવાનું કામ કરે છે. પણ હવે નવા સંશોધન અનુસાર ઓછા ડોઝમાં દવા કામ  કરે તે માટે મગજમાં આવેલી ચોક્કસ ચેતાકીય યંત્રણા આવશ્યક છે. મગજના વેન્ટ્રોમેડિયલ હાયપોથેલેમસ-વીએમએચ- નામના હિસ્સામાં સ્થિત નાનો પ્રોટીન રેપ૧ ચયાપચયની પ્રક્રિયાને તથા ઉર્જાને સંતુલિત કરે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મેટફોર્મિનની બ્લડ સુગર ઘટાડવાની ક્ષમતા વીએમએચમાં રેપ૧ની પ્રવૃત્તિનું દમન કરવાની ક્ષમતા પર આધારીત છે. 

આ બાબતને સાબિત કરવા વિજ્ઞાાનીઓએ  વીએમએચમાં રેપ૧ ન ધરાવતા જેનેટિકલી મોડીફાઇડ ઉંદરનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ ઉંદરોને ટાઇપ ટુ ડાયાબિટિસ કરે તેવા હાઇફેટ ખોરાક પર રાખવામાં આવ્યા ત્યારે તેનું પરિણામ નોંધપાત્ર આવ્યું હતું. મેટફોર્મિનનો ઓછો ડોઝ બ્લડ સુગરને ઘટાડવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે, અન્ય ડાયાબિટિસ દવાઓ જેમ કે ઇન્શ્યુલિન અને જીએલપી-૧રિસેપ્ટર એગોનિસ્ટ્સ સામાન્ય રીતે કામ કરે છે. આ દર્શાવે છે કે  મેટફોર્મિનની યંત્રણાને સક્રિય કરવા માટે રેપ૧ની જરૂર પડે છે. 

અન્ય એક પ્રયોગમાં સંશોધકોએ ડાયાબિટિક ઉંદરના મગજમાં અત્યંત ઓછી માત્રામાં મેટફોર્મિન સીધું જ ડિલિવર્ડ કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ઓરલ ડોઝ કરતાં આ ડોઝ હજારો ગણો ઓછો હોવા છતાં બ્લડ સુગરમાં મહત્વપૂર્ણ ઘટાડો થયો હતો. આ દર્શાવે છે કે મગજ મેટફોર્મિનના ઓછા ડોઝનો પણ પ્રતિભાવ આપે છે. જે દર્શાવે છે કે ન્યુરલ સરકીટ ગ્લુકોઝના નિયંત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે આપણે જાણીએ છીએ કે ચયાપચયની ક્રિયાના નિયંત્રણમાં મગજ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તે સતત પોષક દ્રવ્યો અને અંત:સ્ત્રાવોના પ્રમાણને પારખી બ્લડ સુગર લેવલને તે પ્રમાણે એડજસ્ટ કરતું રહે છે.ચયાપચયના નિયંત્રણમાં મગજ કમાન્ડ સેન્ટરની ભૂમિકા ભજવવા માંડયું છે. હાયપોથેલેમસમાંથી આવતાં સંકેતો પારખી શરીર ગ્લુકોઝ પેદાં કરી તેનો ઉપયોગ કરે છે. આમ, આ નવી શોધનો ઉપયોગ કરી ડાયાબિટિસની સારવાર વધારે અસરકારક બનાવી શકાશે તેમ સંશોધકો માને છે. 

સંશોધકોએ મગજના ચોક્કસ કોષ એસએફવન ન્યુરોનને ઓળખી કાઢ્યો છે જે આ અસરમાટે જવાબદાર છે. જ્યારે મેટફોર્મિન મગજમાં પ્રવેશે ત્યારે આ ન્યુરોન્સ વધારે સક્રિય બને છે. મગજમાં થતી વીજ પ્રવૃત્તિને માપવા લેબોરેટરીમાં કરવામાં આવેલાં પ્રયોગો પરથી પુરવાર થયું છે કે જ્યારે રેપ૧ મોજૂદ હોય ત્યારે જ મેટફોર્મિન મોટાભાગના એસએફ૧ ન્યુરોન્સને સ્ટિમ્યુલેટ કરે છે. જે ઉંદરોમાં આ ન્યુરોન્સ નહોતાં તેમનામાં મેટફોર્મિનની કોઇ અસર વર્તાઇ નહોતી. સંશોધન દર્શાવે છે કે રેપ૧ મહત્વની મોલિક્યુલર સ્વિચ તરીકે કામ કરીને મેટફોર્મિનને આ ન્યુરોન્સને સક્રિયકરવા દઇ બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરે છે. જો કે, આ શોધથી જે લોકો મેટફોર્મિન દવા તરીકે  લે છે તેમને કોઇ ફરક પડતો નથી. અસરકારક,કિફાયતી અને સુરક્ષિત મેટફોર્મિનનો આખી દુનિયામાં  ટાઇપ ટુ ડાયાબિટિસની દવા તરીકે ઉપયોગ થાય છે. 



Source link

Related Articles

Back to top button