કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Children’s social media banned in Karnataka Andhra Pradesh

![]()
– બાળકોની ડિજિટલ સુરક્ષા મહત્ત્વનો મુદ્દો : સિદ્ધારામૈયા
– એઆઈ લર્નિંગ સિસ્ટમ હેઠળ કર્ણાટકમાં 8 થી 12 ધોરણના 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજીની વિશેષ તાલીમ મળશે
– આંધ્રમાં 90 દિવસ પછી 13 વર્ષથી નીચેની વયના બાળકો સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં : ચંદ્રાબાબુ
બેંગ્લુરુ : દેશમાં બાળકોનો સ્ક્રીનટાઈમ સતત વધતો જાય છે અને તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બાળકોનો મોબાઈલનો ઉપયોગ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્ણાટકમાં ૧૬ વર્ષથી નીચેના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રતિબંધિત થશે. આંધ્રપ્રદેશમાં ૧૩ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો છે. બંને રાજ્યોમાં ટૂંક સમયમાં નવો નિયમ લાગુ પડશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાજ્યમાં ૧૭મી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એ સાથે જ તેમણે બાળકોને ટેકનોલોજીના શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં એઆઈ બેઝ્ડ લર્નિંગ સિસ્ટમ હેઠળ ૮મા ધોરણથી ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવાશે. આઈઆઈટી ધારવાડ સાથે મળીને સરકારે એક પર્સનાઈઝ્ડ ડિજિટલ ટયૂટરિંગ સિસ્ટમ વિકસાવી છે. તેના ભાગરૂપે રાજ્યના ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે. ખાસ તો એઆઈ ટેકનોલોજીથી ચાલતી લર્નિંગ મેથડનો ઉપયોગ વ્યાપક રીતે થશે. આ માટે શરૂઆતમાં પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બેંગ્લુરુમાં વિશ્વશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને આઈઆઈટીની તર્જ પર ડેવલપ કરવા માટે તેમણે ૫૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી. એમાંથી પહેલા વર્ષે જ ૧૦૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવાશે. પૉલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટે બે હજારના ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.બીજી તરફ બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો હોવાથી તે અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બાળકોની ડિજિટલ સુરક્ષા માટે રેગ્યુલેટરીના ઉપાયો કરવા જરૂરી છે. ૧૬ વર્ષથી નીચેના બાળકોના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવાની સાથે સાથે તેમણે કહ્યું હતું કે આ વયજૂથના બાળકોના નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ રાજ્યમાં ઓપન થશે નહીં.
કર્ણાટકના પાડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધની જાહેરાત થઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિધાનસભામાં સંબોધન કરતા કહ્યું, ૧૬ વર્ષ સુધીના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો કે ૧૩ વર્ષ સુધીના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો તે બાબતે અમે ખૂબ વિચાર્યું. અમે ૧૩ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આગામી ૯૦ દિવસમાં રાજ્યમાં તે લાગુ પડશે અને ૯૦ દિવસ પછી ૧૩ વર્ષથી નીચેની વયના બાળકો સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં. અમે આ વયમર્યાદા ૧૬ વર્ષ સુધી કરવા વિચારીએ છીએ.
ઈન્ડોનેશિયામાં 16 વર્ષથી નીચેના બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રતિબંધ
જકાર્તા : ઈન્ડોનેશિયાના કોમ્યુનિકેશન અને ડિજિટલ અફેર્સ મંત્રાલયે જાહેરાત કરી હતી કે દેશમાં ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાશે. યુટયૂબ, ટિકટોક, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ, એક્સ સહિતના પ્લેટફોર્મ્સને નોટિસ આપી દેવામાં આવી છે. ઈન્ડોનેશિયાની સરકારે નવો નિયમ બનાવી લીધો છે અને આગામી ૨૮મી માર્ચે તેને લાગુ કરાશે. દરેક પ્લેટફોર્મ્સને ૨૮મી માર્ચ પહેલાં ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોના એકાઉન્ટ્સ બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. ડિજિટલ અફેર્સ મંત્રી મેઉત્યા હાફિદે કહ્યું હતું કે આ બહુ જ સમયસરનું પગલું છે. બાળકો પર સાઈબર બુલિંગ, ઓનલાઈન છેતરપિંડી અને પોર્નોગ્રાફીનો ખતરો છે. ખાસ તો સોશિયલ મીડિયાની લત લાગવાથી માનસિક બીમારીનો પણ ખતરો છે.



