गुजरात

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જોખમ | Vadodara News Mahisagar River Allegation of killing fish and shrimp by pouring poisonous liquid



Vadodara News: પવિત્ર મહીસાગર નદી અત્યારે ગંભીર વિવાદ અને પ્રદૂષણના કારણે ચર્ચામાં છે. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા તત્વો દ્વારા રાત્રિના સમયે ઝેરી દવા નાખીને માછલીઓ અને જિંઘા મારવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નદી કિનારે મોટી સંખ્યામાં મૃત જળચર જીવો મળી આવતા સ્થાનિકો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોડસ ઓપરેન્ડી: પ્લાસ્ટિકની બોટલ અને ‘સ્લો પોઈઝન’

સ્થાનિક સૂત્રો અને સામાજિક કાર્યકરોના દાવા મુજબ, આ આખી રમત રાત્રિના અંધકારમાં રમાય છે. રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ નદીમાં ઝેરી પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બોટલો નાખવામાં આવે છે. બોટલમાં નાના છિદ્ર પાડવામાં આવે છે જેથી ઝેર ધીમે-ધીમે પાણીમાં ભળે. મોડી રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે જ્યારે માછલીઓ અને જિંઘા બેભાન થઈને સપાટી પર તરે ત્યારે તેને એકત્ર કરી લેવામાં આવે છે. આ રીતે પકડાયેલા ઝેરી જિંઘા અને માછલીઓ બજારમાં વેચાતી હોવાની આશંકા છે, જે ખાનારા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પીવાના પાણી પર તોળાતું સંકટ

સૌથી ગંભીર બાબત એ છે કે મહીસાગર નદીનું પાણી વડોદરા અને આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે સપ્લાય કરવામાં આવે છે. અનગઢ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “જ્યાં ફ્રેન્ચવેલ અને આરઓ પ્લાન્ટ આવેલા છે તેની નજીક જ આ પ્રવૃત્તિ થઈ રહી છે. આ સીધું જ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં છે. દોઢ મહિના અગાઉ પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ પુરાવાના અભાવે શંકાસ્પદ શખસો છૂટી ગયા હતા. તંત્રએ હવે કડક બનવાની જરૂર છે.”

તંત્રનો સરકારી જવાબ “ફરિયાદ મળશે તો તપાસ કરીશું”

આ મામલે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલે જણાવ્યું હતું કે, “અત્યાર સુધી કોઈ સત્તાવાર લેખિત ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો અમે પાણીના સેમ્પલ લઈશું.” જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તળાવોમાં આવા કિસ્સા બન્યા છે, પણ વહેતા પાણીમાં ઝેરની અસર પારખવી મુશ્કેલ હોય છે. તેમણે આ બાબતે ફિશરીઝ વિભાગ દ્વારા માછલીઓનું પોસ્ટમોર્ટમ કરાવવાની સલાહ પણ આપી છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.

સવાલ જે અનુત્તર છે!

જ્યારે હજારો લોકોના આરોગ્યનો સવાલ હોય અને નદી કિનારે પુરાવા રૂપે મૃત માછલીઓના ઢગલા પડ્યા હોય, ત્યારે શું તંત્રએ લેખિત ફરિયાદની રાહ જોવી જોઈએ? વહેતા પાણીમાં પુરાવા નાશ પામે તે પહેલાં સેમ્પલ લેવા કેમ જરૂરી નથી?

આ પણ વાંચો: નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજના ‘પાણી’માં!

છેલ્લા એક મહિનામાં 3 થી 4 વાર આવી ઘટનાઓ બની હોવાનું કહેવાય છે. સ્થાનિક નાવિકો આ તત્વોને પકડવા મથે છે પણ કોતરોનો લાભ લઈ તેઓ નાસી છૂટે છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા અને આણંદનું કલેક્ટર તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે.



Source link

Related Articles

Back to top button