સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો આક્ષેપ | Surat: SMC rulers wake up as term end

![]()
Surat SMC news : સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત 11 માર્ચને રાત્રે પુરી થાય છે. આ ટર્મ પુરી થાય તે પહેલાં શાસકો અને વિપક્ષ અચાનક વધુ પડતા એક્ટિવ થઈ ગયાં છે. ટર્મ પુરી થાય તે પહેલાં શાસકોની વિકાસનો વણઝાર કરવાની કવાયત થઈ રહી છે તો બીજી તરફ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વધુ વિરોધ કરનાર વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ અને શાસકો ની નબળી કામગીરીના મુદ્દા સાથે આક્રમક બની રહ્યો છે.
સુરત પાલિકાની વર્ષ 2021 ની ચૂંટણી પરિણામ બાદ ચુંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ હવે 11 માર્ચની મધ્યરાત્રીથી પુરી થવા જઈ રહી છે. અત્યાર સુધી શાસકોના વિકાસ નો ગ્રાફ થોડો ધીમો હતો. પરંતુ હવે શાસકો 11 માર્ચ પહેલાં ઢગલેબંધ કામો મંજુર કરવા તથા વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે મરણીયા બન્યા છે. સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં છેલ્લા એક મહિનામાં 228 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે હજી બે સ્થાયી સમિતિની બેઠક, વિવિધ સમિતિની બેઠક અને સામાન્ય સભાનું આયોજન થઈ રહ્યું છે તેમાં પણ ઢગલેબંધ કામો રજૂ કરવા તથા મંજુર કરવાની કવાયત થઈ રહી છે.
સુરતીઓ માટે મહત્વનો કહેવાતો એવો ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ પણ શાસકો ટર્મ પુરી થાય તે પહેલાં લોકાર્પણ કરી તેવું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ના ખાત મુર્હુત માટે પણ તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
તો બીજી તરફ પાલિકાની સામાન્ય સભામાં બજેટનો વિરોધ ન કરી સર્વાનુમતે બજેટ મંજુર થવા દીધું હતું. હવે આ વિપક્ષ પણ છેલ્લા દિવસોમાં આક્રમક બની રહ્યું છે. વિપક્ષના કોર્પોરેટરો એક પછી એક કૌભાંડ હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી રહ્યાં છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતા હોય તો પછી હાલ અચાનક કેમ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે તેની પણ ચર્ચા થઈ રહી છે.
હાલ વિપક્ષના કોર્પોરેટરો નવા નવા મુદ્દા અચાનક ઉઠાવતા થઈ ગયાં છે એક દિવસ પહેલાં વિપક્ષના એક કોર્પોરેટરે સબવાહીની પૂરતી ન હોવાની ફરિયાદ કરી હતી. તો આજે વધુ એક વિપક્ષી કોર્પોરેટરે : વરાછાના સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઈજારદારને અધિકારીઓની છત્રછાયા છે અને 4 મહિનાથી ઈજારદારે એક રૂપિયો પણ જમા નથી કર્યો છતાં તંત્ર પગલાં ભરતું નથી છતાં તંત્રએ પગલાં ભર્યા નથી. મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ માં અધિકારીઓ અને ઇજારદાર ની મિલીભગતનો આક્ષેપ કરવા સાથે તપાસ કરવા માટે માંગણી કરી છે. આમ ટર્મ પુરી થાય તે પહેલાં વિપક્ષ અનેક પ્રશ્નો ઉઠાવી કૌભાંડ થયાનો આક્ષેપ કરે છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.



