જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલા વિક્રેતા પર હુમલો કરી ફેક્ચર કરવાનો બદલો ફેક્ચર કરીને જ લેવાયો | attack on vendor in Pancheshwar Tower area of Jamnagar

![]()
Jamnagar Crime : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારના થોડા સમય પહેલાં એક ગોલાના ધંધાર્થી પર હુમલો કરાયો હતો, અને તેના હાથ પગ ભાંગી નાખી ફેક્ચર કરાયા હતા, જે હુમલાખોર યુવાન ઉપર ગઈકાલે વળતો હુમલો કરાયો છે, અને ગોલાવાળાના ભાઈ અને તેના બે ભાણેજે છરી-લોખંડના પાઇપ, ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી બદલો વાળ્યો છે. જે ત્રણેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં માતૃ આશિષ સોસાયટી શેરી નંબર-2 માં રહેતા રોનક સુનિલભાઈ સોલંકી નામના ચાની હોટલના સંચાલકના પુત્રએ પોતાના ઉપર લોખંડના પાઈપ, છરી અને ધોકા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે ઉપરાંત હાથ પગ ભાંગી નાખી ફ્રેક્ચર કરી નાખવા અંગે નિમેશ પરમાર, રવિ બારૈયા અને દિલીપ ઢાપા સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને તેને ફ્રેક્ચર થયા હોવાથી સારવાર અપાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રોનક સોલંકી કે જેને થોડા સમય પહેલા પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલાનો વેપાર કરતા ભરતભાઈ ઉર્ફે ભલાભાઇ ઢાપા સાથે તકરાર થઈ હતી, અને તેને માર મારી હાથ પગ ભાંગી નાખ્યા હતા. જેની લાંબો સમય સારવાર ચાલી હતી, અને તે મામલે ભરત ઢાપા દ્વારા રોનક સોલંકી સામે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જે બનાવનો ખાર રાખીને ગઈકાલે ભરતના ભાઈ દિલીપ ઢાપા, અને તેના ભાણેજ નિમેશ પરમાર, તથા રવિ બારૈયા વગેરે એ મોકો ગોતીને રોનકને આંતરી લીધો હતો, અને તેના ઉપર હીચકારો હુમલો કરી બદલો વાળ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝનના પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.



