ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative society

![]()
રોજના રૃા. ૧૦૦થી માંડીને રૃા. ૫૦૦ જમા કરાવીને બચત કરનારાઓને જાન્યુઆરીથી પૈસા આપવાના બંધ કર્યા:જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી પણ પગલાં ન લીધા: ગુજરાતના કોઓપરેટીવ કમિશનરનું પણ રહસ્યમય મૌન
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
અણદાવાદ શહેરના જીવરાજ પાર્ક બસ સ્ટોપ પાસે સહજાનંદ
કોમ્પ્લેક્સમાં ચાલતી ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડે રોજ રોજ
રૃા. ૧૦૦થી માંડીને રૃા. ૫૦૦ જમા કરાવીને
મૂડી એકઠી કરી રહેલા થાપણદારોના અંદાજે રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા હોવાનું બહાર આવી
રહ્યું છે. આ કોઓપરેટી ક્રેડિટ સોસાયટીના વર્તમાન સંચાલકોમાં અમદાવાદની જ સોશિયલ
કોઓપરેટીવ બેન્કના વર્તમાન ડિરેક્ટર સુરેશ
શાહ, તેમના પત્ની કાશ્મીરા શાહ અને પ્રણવ શાહ
હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ કોઓપરેટીવ બેન્કમાંથી જ છૂટા કરેલા સ્ટાફના
સભ્યોને થાપણ એકઠી કરવાની કામગીરીમાં જોતરી દઈને તેમણે પાંચ પાંચ સાત સાત ખાતા
ચલાવતા થાપણદારોને રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા હોવાથી થાપણદારો હેબતાઈ ગયા છે.
રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીની સ્થાપના ૨૦૧૬માં
કરવામાં આવી હતી. આ રીતે તેઓ થાપણદારો પાસે રૃા. ૧૦૦થી માંડીને જે રકમ આપે તે રોજ
રોજ જમા લેતા હતા. વર્ષ દરમિયાન જમા થયેલી રકમ પર વર્ષને અંતે બે ટકા જેટલું વ્યાજ
ઉમેરીને થાપણદારોને પરત આપી દેવામાં આવતા હતા. આ જ પૈસા સુરેશ શાહ અને તેમના
ભાગીદાર સ્વ. અમિત પરીખ બહાર ૨૪ ટકાથી વધુના વાર્ષિક વ્યાજદરે ફેરવતા હતા.
ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના સ્થાપકોએ રોજ રોજની થાપણ લઈ
આવવા માટે ૧૩ જેટલા એજન્ટ્સની નિમણૂક કરી હતી. આ એજન્ટ્સ રોજના રૃા. ૨૫૦૦૦થી
માંડીને ૭૫૦૦૦ કે તેનાથીય વધુ થાપણો લઈ આવતા હતા. આજે આ એજન્ટ્સ માટે ઘરમાંથી બહાર
નીકળવું કઠિન બની ગયું છે. કારણ કે ડિસેમ્બર ૨૦૨૫ પછી તો થાપણદારોના પૈસા પરત
કરવાનું ધરાર બંધ જ કરી દેવામાં આવ્યું છે.ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા પ્રણવ
શાહ પણ થાપણો પરત કરવાને બદલે હાથ ઊંચા કરી રહ્યા છે.
૨૦૨૫ની દિવાળી પૂર્વે રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવની
સ્થાપના કરનારાઓમાંના એક અમિત ઇન્દ્રવદન પરીખ મૃત્યુ પામ્યા પછી સુરેશ શાહે
થાપણદારોના પૈસા ચૂકવવાના ધાંધિયા કરવા માંડયા હોવાની જાણ કરતી ફરિયાદે ગાયકવાડ
હવેલીમાં આર્થિક ગુના નિવારણનું કામ કરતાં પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી ફરિયાદમં
જણાવવામં આવ્યું છે. આ એજન્ટોના ભરોસે થાપણ જમા લઈ આવનારાઓએ હવે એજન્ટો પાસે
પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. ક્રેડિટ સોસાયટી રજિસ્ટર્ડ હોવાથી ગુજરાતના સહકાર
ખાતાના જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતી પંડયાને તેની ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેમણે
પણ રહસ્યમય રીતે મૌન સેવી લીધું છે.
નહેરુ નગર પાસે ક્લાઉડ
નાઈનમાં આઈ વિન્ગમાં રહેતા સુરેશ શાહ અને તેમના રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ સોસાયટીના
મેનેજિંગ ડિરેક્ટર અને સુરેશ શાહના પત્ની કાશ્મીરા સુરેશ શાહે આ થાપણના બદલામાં
સચાણામાં અને બીજો નળસરોવર વિસ્તારનો પ્લોટ આપવાની ઓફર મૂકી હતી. પરંતુ આ બંને
પ્લોટ પર સોશિયલ કોઓપરેટીવ બેન્કનો બોજો હોવાનું ખબર પડતાં થાપણદારોએ તે
સ્વીકારવાની ના પાડી દીધી હતી. બીજું આ પ્લોટ સુરેશ શાહ બજાર ભાવથી બમણા ભાવે
થાપણદારોને ઓફર કરી રહ્યાહોવાથી પણ આ સમાધાન તૂટી ગય્ હતું. બીજીતરફ તેમણે નારોલ
વિસ્તારમાં મકાનમાં ખાલી પડેલા ફ્લેટ્સ પણ ઓફક કરીને ઓફર પાછી ખેંચી લીધી હતી.
પરિણામે થાપણદારો તેમણે ટીપે ટીપે એકઠી કરેલી મૂડી પાછી મેળવવા ધક્કા ખાઈ રહ્યા
છે.



