25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts closure report in maharashtra state co operative bank case involving ajit pawar

Ajit Pawar Clean Chit EOW Report: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાંસદો અને ધારાસભ્યોના કેસની સુનાવણી કરતી સ્પેશિયલ કોર્ટે ₹25,000 કરોડના બૅન્ક કૌભાંડ મામલે દિવંગત નેતા અજિત પવાર, તેમના પત્ની સુનેત્રા પવાર અને ભત્રીજા રોહિત પવારને મોટી રાહત આપી છે. કોર્ટે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા(EOW) દ્વારા રજૂ કરવામાં આવેલી તપાસ બંધ કરવાના રિપોર્ટને સ્વીકારી લીધો છે, જેનો અર્થ છે કે હવે આ નેતાઓને ક્લીનચીટ મળી ગઈ છે. આ કૌભાંડમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામે આવ્યા હતા, પરંતુ લાંબી તપાસ બાદ કોર્ટે આ મામલે ફાઇલ બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.
ED અને અન્ના હજારેની અરજીઓ ફગાવી
બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને સામાજિક કાર્યકર અન્ના હજારે દ્વારા આ તપાસ ચાલુ રાખવા માટે કરવામાં આવેલી અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે. સ્પેશિયલ જજ મહેશ કે. જાધવે સ્પષ્ટ કર્યું હતું કે અગાઉ પણ આવી જ અરજીઓ નામંજૂર થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ, જો મૂળ ગુનામાં કોઈ પુરાવા ન મળે અને કેસ બંધ થઈ જાય, તો મની લોન્ડરિંગનો કેસ પણ આપોઆપ રદ થઈ જાય છે. આ કાયદાકીય જોગવાઈને કારણે હવે EDના કેસનો મુખ્ય આધાર જ ખતમ થઈ ગયો છે, જે પવાર પરિવાર માટે કાયદાકીય રીતે મોટી જીત ગણાય છે.
આ પણ વાંચો: ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
અજિત પવારના અવસાન બાદ ચુકાદો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી, 2026ના રોજ એક દુર્ઘટનામાં અવસાન થયું હતું. મુંબઈથી બારામતી જઈ રહેલું તેમનું ચાર્ટર્ડ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું, જેમાં 66 વર્ષીય અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. દાયકાઓ સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય રહેલા અજિત પવારના આકસ્મિક નિધન બાદ આ કાનૂની ચુકાદો આવ્યો છે. હાલમાં વિમાન દુર્ઘટનાના કારણો જાણવા માટે CID અને ઉડ્ડયન વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.




