મૂળ આણંદની અને MSUની પૂર્વ વિદ્યાર્થિનીની સિધ્ધિ, બ્રહ્માંડમાં આકાશગંગાના ૬ નવા સમૂહ શોધ્યા | msu former student and anand resident discover new groups of galaxies

![]()
વડોદરાઃ મૂળ આણંદની અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની પૂર્વ વિદ્યાર્થિની એકતા શાહે અમેરિકામાં પીએચડી કર્યા બાદ નાસાની સહાયથી પોસ્ટ ડોકટરલ રિસર્ચ ફેલોશિપ હેઠળ સંશોધન કરીને બ્રહ્માંડમાં આકાશગંગાઓના ૬ નવા સમૂહને શોધી કાઢ્યા છે.એકતા શાહે તેને માનવીની છ ઈન્દ્રીયના આધારે દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ નામ આપ્યા છે.
ભારત પાસે એમ પણ ખગોળ વૈજ્ઞાાનિકો ઓછા છે ત્યારે માત્ર ૩૨ વર્ષની વયે એકતા શાહે મેળવેલી સિધ્ધિ અભૂતપૂર્વ કહી શકાય.એકતા આણંદની ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલી છે.ધો.૧૨ પછી તેણે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ફિઝિક્સ વિભાગમાં અભ્યાસ કરીને ૨૦૧૩માં બીએસસી અને આઈઆઈટી મુંબઈમાંથી ૨૦૧૫માં એમએસસીની ડિગ્રી મેળવી હતી.૨૦૧૫માં જ અમેરિકાના રોચસ્ટર ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં તેણે ૬ વર્ષ પીએચડી કર્યું હતું.એ પછી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પીએચડી પછીના સંશોધન માટે પ્રોજેકટ મળ્યો હતો.આ પ્રોજેકટ પર ૩ વર્ષ તેણે કામ કર્યું હતું.
તાજેતરમાં જ ભારત પાછી ફરેલી એકતા કહે છે કે, આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ ૧૩ અબજ વર્ષ પહેલા થઈ હતી.બ્રહ્માંડમાં કરોડો આકાશગંગાઓ છે અને દરેક આકાશગંગામાં આપણા સૂર્ય જેવા કરોડો તારાઓ છે.મેં જે આકાશગંગાઓના સમૂહ શોધ્યા છે તે બ્રહ્માંડ જ્યારે બાળપણમાં હતું અને તેના વિસ્તરણની શરુઆત થઈ હતી તે સમયના છે.હવાઈ ટાપુ પરના વિરાટકાય ટેલિસ્કોપમાંથી કરેલા નિરિક્ષણ તેમજ એમિશન સ્પેક્ટ્રા અને એબ્ઝોર્બશન સ્પેક્ટ્રા ટેકનિકના આધારે આ ૬ સમૂહની ઓળખ શક્ય બની છે.આ આકાશગંગાઓના સમૂહ ધરતીથી અબજો પ્રકાશવર્ષ દૂર છે.કોઈ પણ ખગોળ વૈજ્ઞાાનિક પોતે શોધેલી આકાશગંગાને નામ આપવાનો અધિકાર રાખે છે અને મેં તેને ભારતીય સંસ્કૃત સાથે જોડાયેલા નામ આપવાનો નિર્ણય લીધો હતો.
પિતા સેલ્સમેન, માતા સિવણકામ કરતી હતી, એક રુમના સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહીને અભ્યાસ કર્યો
બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા મથી રહેલી એકતાએ અભાવો વચ્ચે રહીને અભ્યાસ કર્યો છે.એકતા તેના માતા પિતા સાથે એક બંગલાના સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતી હતી.તેના પિતા અર્જુનભાઈ શાહ એક સેલ્સમેન છે અને માતા સિવણકામ કરે છે.એકતા કહે છે કે, મને વડોદરામાં ભણતી વખતે લેપટોપની જરુર પડી ત્યારે પિતાને તેના માટે પણ લોન લેવી પડી હતી.મને રોચસ્ટર ઈન્સ્ટિટયુટમાં પીએચડી માટે નાસાની સ્કોલરશિપ ના મળી હોત તો હું ત્યાં અભ્યાસ ના કરી શકી હોત.અમેરિકા જવા માટે પણ તેઓ જે બંગલામાં રહેતા હતા તેના એનઆરઆઈ માલિક તથા બીજા લોકોએ આર્થિક મદદ કરી હતી.એકતા કહે છે કે, આજે પણ અમે સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહીએ છે.મકાન માલિકે અમને બંગલામાં પણ રહેવાની છૂટ આપી છે.
સ્કૂલોના બાળકોમાં વૈજ્ઞાાનિક અભિગમ વિકસિત કરવો છે, ભારતમાં જ રહીશ
એકતા શાહને રિસર્ચ પ્રોજેકટ પૂરો થયા બાદ અમેરિકામાં નોકરી માટે ઘણી સારી ઓફર હતી.આમ છતા તેણે ભારત પાછા આવવાનો નિર્ણય લીધો હતો.તેનું કહેવું છે કે, માનવીની આત્માનો પણ વિકાસ થવો જોઈએ અને તે ભારતમાં જ શક્ય છે.ભારતમાં રહીને હું સ્કૂલના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાાનિક અભિગમ વિકસિત કરવા માગુ છું.તેમને ધો.૧૨ પછી સંશોધનમાં રસ લેતા કરવા માગુ છું.મેં જે પણ જ્ઞાાન મેળવ્યું છે તે મારી પાસે જ નથી રાખવું, મારે તેને વહેંચવું છે.હું આજે પણ નાસાની સબજેકટ એક્સપર્ટ પેનલની સભ્ય તો છું જ.
આકાશગંગા વચ્ચે થતા ટકરાવથી તારાઓના સર્જન પર પીએચડી
એકતા શાહના પીએચડીનો વિષય પણ રસપ્રદ હતો.૬ વર્ષના સંશોધનના આધારે તેણે સાબિત કર્યું હતું કે, બ્રહ્માંડનું સર્જન થયું તે પછીના સમયગાળમાં આકાશગંગાઓના એક બીજા સાથેના ટકરાવથી જેટલા તારાઓનું સર્જન થતું હતું તેના કરતા અત્યારે આકાશગંગોના ટકરાવથી વધારે તારાઓનું સર્જન થાય છે.આ પીએચડીના કારણે તેને પોસ્ટ ડોકટરેટ ફેલોશિપ મળી હતી.
જે ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો તેની ઉંચાઈ આઠ માળ જેટલી
હવાઈ ટાપુ પરના જે ટેલિસ્કોપના ઉપયોગની એકતાને મંજૂરી મળી હતી તેનું નામ ડબલ્યુ એમ કેક્સ છે.આ ટેલિસ્કોપની ઉંચાઈ આઠ માળની છે.તેના કેમેરાનું કદ એક માણસ જેટલું છે.બહું ઓછા સંશોધકોને અહીંયા એન્ટ્રી મળતી હોય છે.અબજો પ્રકાશવર્ષ છેટે રહેલી આકાશગંગાઓના નિરિક્ષણ માટે ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે છે.



