ઇઝરાયલની સંસદમાં PM મોદીના ભાષણ બાદ મુસ્લિમ દેશો ભડક્યા, કહ્યું- ગાઝા સંકટ પર ધ્યાન ન આપ્યું | pm modi speech israeli knesset hamas gaza peace plan islamic countries reaction

PM Modi Knesset Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઇઝરાયલ મુલાકાતના પ્રથમ દિવસે ઇઝરાયલી સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરીને બંને દેશોના સંબંધોને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધા છે. આ પ્રથમ એવો અવસર હતો જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાને નેસેટમાં ભાષણ આપ્યું હોય અને તેમને ‘મેડલ ઓફ ધ નેસેટ’થી સન્માનિત કરવામાં આવ્યા હોય. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ સામે કડક વલણ, બંને દેશોના પ્રાચીન સાંસ્કૃતિક સંબંધો અને ભવિષ્યમાં ટેકનોલોજી તથા અર્થતંત્રના ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
આતંકવાદ સામે ભારતનું ‘ઝીરો ટોલરન્સ’ વલણ
વડાપ્રધાન મોદીએ 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને ક્રૂર ગણાવતા કહ્યું કે, ‘ભારત આ દુ:ખની ઘડીમાં ઇઝરાયલની સાથે ઊભું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘કોઈપણ કારણ નાગરિકોની હત્યાને યોગ્ય ઠેરવી શકતું નથી અને આતંકવાદને ક્યારેય યોગ્ય ગણી શકાય નહીં.’ 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. આ પ્રસંગે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં તેમણે અબ્રાહમ એકોર્ડ્સની પ્રશંસા કરી અને I2U2 તથા IMEC જેવા મંચો દ્વારા સહયોગ વધારવાની અપીલ કરી હતી.
અંગ્રેજીમાં સંબોધન: વિશ્વને પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ
પીએમ મોદીના આ ભાષણને વિશ્વભરના નિષ્ણાતો અને મીડિયા અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. ઇઝરાયલના વિદેશ બાબતોના નિષ્ણાતો માને છે કે પીએમ મોદીએ હિન્દીને બદલે અંગ્રેજીમાં ભાષણ આપીને પોતાનો સંદેશ માત્ર ઇઝરાયલ સુધી જ નહીં, પરંતુ અમેરિકા અને ખાડી દેશો સહિત સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યો છે. પીએમ મોદીએ યોગ અને હિન્દુ ધર્મની વિભાવનાનો ઉલ્લેખ કરીને બંને દેશો વચ્ચે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. નિષ્ણાતોના મતે, હવે ભારત અને ઇઝરાયલ વચ્ચેનો સંબંધ માત્ર લેણ-દેણ પૂરતો મર્યાદિત ન રહીને એક વ્યૂહાત્મક અને મોટી ભાગીદારીમાં પરિવર્તિત થયો છે.
આ પણ વાંચો: PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી
બીજી તરફ, આ મુલાકાત પર આંતરરાષ્ટ્રીય મીડિયામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ઇઝરાયલના મીડિયા હાઉસે આ મુલાકાતને 21મી સદીની સૌથી મહત્ત્વની ભાગીદારી ગણાવી છે, જ્યારે ‘અલ જઝીરા’ અને ‘મિડલ ઇસ્ટ આઈ’ જેવા પશ્ચિમ એશિયાના મીડિયા સંસ્થાઓએ તેને ભારતની પરંપરાગત પેલેસ્ટાઈન તરફી નીતિમાં મોટો ફેરફાર ગણાવ્યો છે. તૂર્કીયે અને પાકિસ્તાની અખબારોએ ગાઝાના માનવીય સંકટ પર પીએમ મોદીની મૌન પ્રતિક્રિયા અંગે ટીકા કરી છે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે પીએમ મોદીએ નેસેટના મંચ પરથી સાબિત કરી દીધું છે કે ભારત હવે પોતાના મિત્રોની પસંદગીમાં વિશ્વના દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર નિર્ણય લેવા માટે સક્ષમ છે.




