મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પૂછતાં એમણે પણ ચાલતી પકડી | Deputy CM Skips Ahmedabad Bhadrakali Nagar Yatra Trustee Claims Late Night Call

![]()
Ahmedabad Bhdrakali Nagaryatra: અમદાવાદના નગરદેવી ગણાતા શ્રી ભદ્રકાળી માતાજીની આજે (26મી ફેબ્રુઆરી) સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી. ભક્તિમય માહોલમાં યોજાયેલી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ પણ છેલ્લી ઘડીએ મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીને મેસેજ કરીને નહીં આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મેયરે ફોર્માલિટી કરીને નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.’ જોકે જ્યારે પ્રસ્થાન વિધિ અને નગરયાત્રાના પ્રસ્થાન માટે નાયબ મુખ્યમંત્રી હાજર રહેવાના હતા તે કેમ ન આવ્યા? તેવા સવાલ સામે મેયરે ચાલતી પકડી હતી અને કોઈ જવાબ નહોતો આપ્યો.
મેયર પ્રતિભા જૈન મોડા પહોંચ્યા
મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ જણાવ્યું કે, ‘આ વખતે યાત્રામાં બે રૂટ સાથે આશરે 2 કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. માતાજીને રથને પ્રસ્થાન કરાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પધારવાના હતા. પરંતુ કોઈ કારણ સર અંતિમ સમયે આવી શક્યા નહીં. પરંતુ તેમના સ્થાને પર ધારાસભ્યો અને મેયર પ્રતિભા જૈન દ્વારા માતાજીના રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં બોર્ડની પરીક્ષા હોય તે વિસ્તારમાં ઢોલ નગારા વગાડવામાં આવશે નહીં.’
ભૂષણ ભટ્ટે વ્યસ્તતાનું આપ્યું કારણ
જ્યારે ધારાસભ્ય ભૂષણ ભટ્ટને સવાલ કરાયો તો તેમણે જવાબ આપ્યો કે અતિ વ્યવસ્તતા અને વિધાનસભામાં બજેટ સત્ર ચાલતું હોવાને કારણે તે ન આવી શક્યા હોઈ શકે છે. આ અંગે તો પાર્ટી જ જવાબ આપશે.
નોંધનીય છે કે, અમદાવાદના મેયર પ્રતિભા જૈન મોડા આવ્યા હતા અને માત્ર દર્શન કરીને પરિસરમાંથી રવાના થઈ ગયા હતા. આ સાથે મંદિર પરિસરમાં કિલ્લાની બાજુમાં બનાવવામાં આવેલું સ્ટેજ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું જોવા મળ્યું હતું. આ સ્ટેજ પર કોઈ પ્રકારનું કંઈ જ આયોજન કરવામાં આવ્યું નહોતું.
મંદિરનો વિશેષ ફૂલોથી શણગાર
આજે વિશેષ દિવસે મંદિર ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી શણગારેલું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલા તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીની ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરાયા હતા.



