राष्ट्रीय

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? | Union Cabinet Approves Keralam Why the State is Changing its Name After 70 Years



Keralam Name Change: કેન્દ્રીય મંત્રીમંડળે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ કેરળ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને ‘કેરળમ'(Keralam) રાખવાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે કેરળ ભારતીય સંઘનો ભાગ કેવી રીતે બન્યું અને એક સમયના શક્તિશાળી ત્રાવણકોર રજવાડાનું શું થયું.

કેરળનું નામ કેમ બદલાયું?

આ નિર્ણય કેરળની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન્ય રાખીને લેવામાં આવ્યો છે. મલયાલમ ભાષામાં રાજ્યને હંમેશાં ‘કેરળમ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં તેનું નામ ‘કેરળ’ દર્શાવવામાં આવ્યું હતું. કેરળ વિધાનસભાએ 2023 અને 2024માં સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને નામ બદલવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ઠરાવ રજૂ કર્યો હતો. 

ભાષાકીય ઓળખ જાળવવાની જરૂર 

‘Kerala’ અંગ્રેજીકૃત સ્વરૂપ છે; મલયાલમ ભાષામાં રાજ્યનું મૂળ નામ ‘Keralam’ છે. ‘અંગ્રેજી પ્રભાવથી દૂર થવા માટે’ અને ‘સ્થાનિક ઉચ્ચાર અને ભાષાકીય પ્રામાણિકતા જાળવવા માટે’ કેરળનું નામ બદલવાની માંગ ઊઠી હતી. કેરળવાસીઓની દલીલ છે કે, રાજ્યના નામમાં સ્થાનિક ભાષા પ્રતિબિંબિત થવી જોઈએ.

આઝાદી પછીની સ્થિતિ અને રજવાડાંઓનું એકીકરણ

1947માં જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે આજના કેરળનો વિસ્તાર ત્રણ અલગ-અલગ ભાગોમાં વહેંચાયેલો હતો: ઉત્તરમાં મદ્રાસ પ્રેસિડેન્સી(બ્રિટિશ શાસન) હેઠળનો ‘મલબાર’ જિલ્લો, અને બે મોટાં રજવાડાં- ‘કોચીન'(કોચી) અને ‘ત્રાવણકોર’. આઝાદી બાદ સૌથી મોટો પડકાર હતો દેશભરમાં પથરાયેલા 565 જેટલાં રજવાડાંઓને ભારતીય સંઘમાં ભેળવવાનો. તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ કાર્યને અત્યંત કુશળતાપૂર્વક પાર પાડ્યું હતું.

ત્રાવણકોર સ્વતંત્ર દેશ બનવા માંગતું હતું?

કોચીન રજવાડું ભારતમાં ભળવા માટે સહમત થઈ ગયું હતું, પરંતુ ત્રાવણકોરને સમજાવવામાં થોડો સમય લાગ્યો. ત્રાવણકોરના છેલ્લા શાસક મહારાજા ચિથિરા થિરુનલ બલરામ વર્મા હતા. કહેવાય છે કે તત્કાલીન દીવાન સી.પી. રામાસ્વામી અય્યરના પ્રભાવને કારણે ત્રાવણકોરે શરૂઆતમાં સ્વતંત્ર રહેવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે સરદાર પટેલની મક્કમતા અને વાટાઘાટોને કારણે ત્રાવણકોર પણ ભારતમાં ભળવા તૈયાર થયું.

ત્રાવણકોર-કોચીનનું એકીકરણ થયું

1 જુલાઈ, 1949ના રોજ ત્રાવણકોર અને કોચીન રજવાડાંઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું અને એક નવા રાજ્ય ‘ત્રાવણકોર-કોચીન’ની રચના કરવામાં આવી, જેને ‘થિરુ-કોચી’ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ત્રાવણકોરના મહારાજા ચિથિરા થિરુનલ બલરામ વર્માને આ નવા રાજ્યના ‘રાજપ્રમુખ'(સાંકેતિક વડા) બનાવવામાં આવ્યા હતા. આમ, ત્રાવણકોર સ્વતંત્ર રાજ્ય તરીકે તો અદૃશ્ય થઈ ગયું, પરંતુ એક મોટા રાજ્યના મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે તેનું અસ્તિત્વ ટકી રહ્યું. ત્રાવણકોરના છેલ્લા પ્રધાન પરવૂર ટી.કે. નારાયણ પિલ્લેને ત્રાવણકોર-કોચીનના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા. 

આ પણ વાંચો: ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી

ઐક્ય કેરળ ચળવળ અને ભાષાકીય રાજ્યની માંગ

આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં સમગ્ર દેશમાં એક મજબૂત જનઆંદોલન ઊભું થયું હતું જે ભાષાના આધારે રાજ્યોની રચનાની માંગ કરી રહ્યું હતું. કેરળના સંદર્ભમાં આ ચળવળ ‘ઐક્ય કેરળ ચળવળ'(એકીકૃત કેરળ ચળવળ) તરીકે ઓળખાઈ. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તમામ મલયાલમ ભાષી વિસ્તારોને એક જ રાજ્યમાં જોડવાનો. આ માંગ 1956ના રાજ્ય પુનર્ગઠન અધિનિયમ(States Reorganisation Act) દ્વારા પૂર્ણ કરવામાં આવી.

કેરળ રાજ્યની રચના 

1 નવેમ્બર, 1956ના રોજ આધુનિક કેરળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ નવી રચના હેઠળ નીચેના ફેરફારો થયા.

– ત્રાવણકોર-કોચીન રાજ્યમાં ભૂતપૂર્વ મદ્રાસ રાજ્યનો ‘મલબાર’ જિલ્લો ઉમેરવામાં આવ્યો.

– દક્ષિણ કેનેરાનો ‘કાસરગોડ’ તાલુકો પણ તેમાં ભેળવી દેવામાં આવ્યો.

– દક્ષિણ ત્રાવણકોરના કન્યાકુમારી અને શેનકોટ્ટાઈ જેવા તમિલભાષી વિસ્તારો તત્કાલીન મદ્રાસ રાજ્ય (હવે તમિલનાડુ)માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા.

આ રીતે, કેરળ એક સંપૂર્ણ રાજ્ય તરીકે ભારતના નકશા પર આવ્યું. નોંધપાત્ર બાબત એ છે કે મલયાલમ ભાષી બહુમતી ધરાવતા આ રાજ્યની રચના માટે લગભગ ત્રણ દાયકા સુધી આંદોલન ચાલ્યું હતું; 1928માં કોચીનમાં યોજાયેલી રાજ્ય પીપલ્સ કોન્ફરન્સમાં આ માંગનો પ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’

ત્રાવણકોર લોકશાહીના પ્રવાહમાં વિસર્જિત થઈ ગયું 

ત્રાવણકોર ઘણું પ્રગતિશીલ રજવાડું હતું. અહીં 18મી સદીમાં માર્તાંડ વર્મા જેવા શક્તિશાળી શાસક થઈ ગયા, જેમણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોલાચેલના યુદ્ધમાં હરાવ્યું હતું. ત્યારબાદ ચિથિરા થિરુનલના શાસનકાળમાં 1936માં મંદિર પ્રવેશ ઘોષણા(Temple Entry Proclamation) જેવા ઐતિહાસિક સુધારા થયા, જેણે નીચલી જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ આપ્યો. તેમને ‘ત્રાવણકોરના ઔદ્યોગિકીકરણના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમના શાસનમાં ત્રાવણકોર બ્રિટિશ સામ્રાજ્યનું બીજું સૌથી સમૃદ્ધ રજવાડું હતું. 

ત્રાવણકોરનો વારસો જળવાઈ રહ્યો

1956માં કેરળની રચના સાથે જ ‘રાજપ્રમુખ’નું પદ નાબૂદ કરવામાં આવ્યું અને રાજ્ય સંપૂર્ણ રીતે લોકશાહી માળખા હેઠળ કાર્યરત થયું. રાજ્યપાલને બંધારણીય વડા બનાવવામાં આવ્યા. ત્રાવણકોરની શાહી ઓળખ ધીમે ધીમે ભારતના લોકતંત્રમાં ભળી ગઈ. જોકે, ત્રાવણકોરનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો આજે પણ કેરળના ખૂણે ખૂણે જોવા મળે છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો અને રાજપરિવારની ગાથાઓ આજે પણ કેરળની ઓળખનો અભિન્ન ભાગ છે.

નામ બદલાયું, ઓળખ નહીં

‘કેરળ’થી ‘કેરળમ’ સુધીની આ યાત્રા માત્ર એક નામ બદલવાની નથી, પરંતુ તે ભાષાકીય ઓળખ અને સાંસ્કૃતિક આત્મગૌરવની સ્વીકૃતિ છે. ત્રાવણકોર અને કોચીન જેવા પ્રાચીન રજવાડાંઓ આજે કેરળમાં વિલીન થઈ ગયા છે, પરંતુ તેમનો ઈતિહાસ આજના કેરળના પાયામાં જડાયેલો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે સત્તાવાર રીતે મલયાલમ ભાષામાં વપરાતા નામને બંધારણીય માન્યતા મળશે, જે ભારતની વિવિધતા અને સંઘીય ભાવનાનું પ્રતીક છે.



Source link

Related Articles

Back to top button