પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ફરી હુમલો! બોર્ડર પર 5 જગ્યાઓએ ભારે ગોળીબાર | Pakistan Afghanistan Border Clash: Artillery Fire at 5 Locations After Airstrikes on Terror Camps

![]()
Pakistan Afghanistan Border Clash : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી મોટી બબાલ શરૂ થઈ ગઈ છે. બંને દેશોની સરહદ પર તોપો ગૂંજવા લાગી છે. રિપોર્ટ મુજબ સરહદ પર પાંચ જગ્યાઓએ ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ આજે (24 ફેબ્રુઆરી) સાંજે ઉરઘા બોર્ડર પાસે અફઘાનિસ્તી પોસ્ટ પર આર્ટિલરીનો ઉપયોગ કરીને તોપમારો કર્યો છે. ત્યારબાદ ઉરાઘા બોર્ડર, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ વિસ્તારોમાં ઘર્ષણ શરૂ થઈ ગયું છે.
પાકિસ્તાને અફઘાન પર એરસ્ટ્રાઈક કરી હતી
પાકિસ્તાને તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં રવિવારે (23 ફેબ્રુઆરી) આતંકીઓના સાત સ્થળો પર હવાઈ હુમલો કરી 70 આતંકીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને લગભગ પાંચ મહિનાના સમયમાં અફઘાનિસ્તાન પર રવિવારે ફરી એક વખત એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં એક જ પરિવારના 19 લોકો માર્યા ગયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કરવાની ઘટનાની ભારતે નિંદા કરી છે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ
શનિવારે ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો થયો હતો
અફઘાનિસ્તાનની નંગરહાર પ્રાંતની પોલીસના જણાવ્યા મુજબ રવિવારે હવાઈ હુમલામાં એક ઘરને નિશાન બનાવાયું હતું, જ્યાં 23 લોકો કાટમાળમાં દબાઈ ગયા. આ હુમલામાં એક જ પરિવારના 19 લોકોનાં મોત થયા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓએ શનિવારે (21 ફેબ્રુઆરી) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુમાં એક આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં એક આર્મી લેફ્ટનન્ટ કર્નલ અને એક સૈનિક માર્યા ગયા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં આ હુમલાઓ માટે અફઘાનિસ્તાન સ્થિત પાકિસ્તાની તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન પ્રાંત (આઈએસકેપી)ના આતંકીઓ જવાબદાર છે.
પાકિસ્તાન-તાલિબાન વિવાદનું કારણ
પાકિસ્તાન લાંબા સમયથી ટીટીપીના આતંકીઓ સરહદ પાર કરી હુમલા કરી રહ્યા હોવાના આક્ષેપો કરતું રહ્યું છે. જોકે, તાલિબાન સરકાર અને ટીટીપીએ આ આક્ષેપોને સતત નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું માનવું છે કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેમની જમીનનો પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરવામાં આવી હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાને ગુપ્તચર માહિતીના આધારે આતંકીઓની સાત છાવણીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 70 આતંકીઓ માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા. આ આતંકીઓ હુમલા કરીને અફઘાનિસ્તાનમાં ભાગી જતા હતા.



