બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન છતાં હિન્દુઓ ઉપર હુમલાઓ ચાલુ જ રહ્યાં છે : હિન્દુ મહિલા ઉપર બળાત્કાર કરનાર મુક્ત ફરે છે | Attacks on Hindus continue despite change of power in Bangladesh: Rapist of Hindu woman walks free

![]()
– છેલ્લાં 7 મહિનામાં 116 હત્યાઓ થઈ છે : ચૂંટણી પહેલાં હુમલાઓ વધ્યા હતા, ગયા મહિને જ 11 હિન્દુઓનાં મોત નોંધાયાં છે
ઢાકા : મોહમ્મદ યુનુસના હાથમાંથી સત્તા ચાલી ગઈ છે. હવે તારિક રહેમાન બાંગ્લાદેશમાં વડાપ્રધાન બન્યા છે. પરંતુ તેથી હિન્દૂ લઘુમતિની પરિસ્થિતિમાં કશો ફેર પડયો નથી. હિન્દૂઓ ઉપર હુમલા ચાલુ જ રહ્યાં છે. તેમાંયે ચંડીપુરમાં બનેલી એક ઘટનાએ તો હિન્દૂઓની સલામતિની આશા ઉપર પાણી ફેરવી નાંખ્યું છે. તે શરમજનક ઘટનાની વિગત તેવી છે કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગે ૨૫ વર્ષની એક અપંગ હિન્દૂ યુવતી એક ધાર્મિક મેળાવડામાંથી પાછી ફરી રહી હતી ત્યારે ત્રણ જણાએ તેને ઘેરી લીધી હતી અને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. તેટલું જ નહીં પરંતુ તેનાં પેટમાં પાટુ માર્યા હતાં, તેમજ તેનું ગળું દબાવી તેને મારી નાંખવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, સદ્ભાગ્યે તે મહિલા બચી ગઈ હતી, કદાચ ગળું દબાવવાને લીધે તેનું મૃત્યુ પણ થયું હોત. આ મહિલા એક બાળકની માતા પણ છે.
વાત આટલેથી અટકી નથી તે મહિલા તેની ઉપર બળાત્કાર ગુજારનાર ત્રણે શખ્સોને ઓળખે પણ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યારે તેણે તેનાં નામ પણ આપ્યાં હતાં કે રફીબ, સોહેલ અને રસુલે મારી ઉપર બળાત્કાર ગૂજાર્યો હતો.
આંચકાજનક તે છે કે તે મહિલાએ તેમની ઓળખ પણ આપી હોવા છતાં હજુ તે ત્રણે બેશરમ બની ખુલ્લેઆમ ફરે છે.
આ ઉપરાંત ગાયબંધ ગામે એક હિન્દૂ વકીલ અમિતાભ ચંદ્ર સુજાનની ઉપર તેના ઘરમાં ઘૂસી કેટલાંક ગૂંડાઓએ તેનાં ઘરમાં ઘૂસી કુહાડીથી હત્યા કરી હતી.
આ હત્યા જેવી અને બળાત્કારો જેવી ઘટનાઓ બાંગ્લાદેશમાં લઘુમતિઓની સલામતી અંગે ચિંતા ઉપસ્થિત કરે છે. છેલ્લાં ૭ મહિનામાં ૧૧૬ જેટલા હિન્દૂઓની હત્યા થઈ છે. ચૂંટણી પહેલાંના એક મહિનામાં ૭ હિન્દૂઓની હત્યા થઈ હતી.
વડાપ્રધાન પદ સંભાળ્યા પછી આપેલાં પોતાનાં પહેલાં જ વક્તવ્યમાં તારિક રહેમાને કહ્યું હતું કે, તેઓ તમામ માટે બાંગ્લાદેશને સલામત બનાવશે. આ દેશ સૌ કોઈનો છે.
તેમના ટીકાકારો કહે છે કે તારિક રહેમાન ભલે ગમે તે કહે પરંતુ ભૂમિગત પરિસ્થિતિ તો તેથી તદ્દન વિપરીત જ છે.



