વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet Flight Makes Emergency Landing at Delhi After Engine Failure

![]()
Flight Emergency Landing In Delhi Airport: દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે (24મી ફેબ્રુઆરી) એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. દિલ્હીથી લેહ જઈ રહેલા સ્પાઈસજેટના બોઇંગ 737 વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક દિલ્હી પરત લાવી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાનમાં સવાર તમામ 150 મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
ટેકઓફના ગણતરીના સમયમાં જ સર્જાઈ ખામી
સ્પાઈસજેટની ફ્લાઈટ SG121 એ દિલ્હી એરપોર્ટ પરથી લેહ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી હોવાનું જણાયું હતું. અહેવાલો અનુસાર, વિમાનનું એન્જિન નંબર 2 ફેઈલ થઈ ગયું હતું, જેને પગલે પાયલટે સાવચેતીના ભાગરૂપે લેહ જવાનું માંડી વાળી દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ
એરપોર્ટ પર હાઈ એલર્ટ અને સુરક્ષિત લેન્ડિંગ
ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત થતા જ દિલ્હી એરપોર્ટ પર હાઈ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. રનવે પર ફાયર સર્વિસ, મેડિકલ ટીમ અને સુરક્ષા એજન્સીઓનો કાફલો ખડેપગે કરી દેવાયો હતો. પાયલટની સૂઝબૂઝથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્પાઈસજેટના પ્રવક્તાએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઈટને પરત બોલાવવામાં આવી હતી. કોકપિટમાં કોઈ પણ પ્રકારના ‘ફાયર વોર્નિંગ’ મળ્યા ન હતા. તમામ મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’
વધતી વિમાની દુર્ઘટનાઓ ચિંતાનો વિષય
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એરલાઈન્સમાં ટેકનિકલ ખામી અને ધમકીના કિસ્સાઓ વધી રહ્યા છે. ગત 14મી ફેબ્રુઆરીએ પણ ઈન્ડિગોની ડિબ્રુગઢ-કોલકાતા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓને પગલે હવે વિમાનોની જાળવણી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.



