નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed garages near Ram Talawadi in Nadiad

![]()
– બાઈક અને ટાયરો બળીને ખાખ થઈ ગયા
– ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની ટળી હતી
નડિયાદ : નડિયાદના રામ તલાવડી વિસ્તારમાં આવેલા બે બંધ ગેરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા બાઇક અને ટાયરો બળીને ખાખ થઈ ગયા છે. મિશન રોડ પર એલીમ ચર્ચ સામે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની ટળી છે.
નડિયાદ શહેરના રામ તલાવડી વિસ્તારમાં આવેલા બે બંધ ગેરેજમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મિશન રોડ પર એલીમ ચર્ચની સામે આવેલા આ ગેરેજમાં આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં ગેરેજની અંદર પાર્ક કરેલી એક બાઈક અને મોટા જથ્થામાં રાખેલા જૂના ટાયરો આગની ઝપેટમાં આવી ગયા હતા. ટાયરો સળગવાના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી પરંતુ ગેરેજમાં રહેલી મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે.



