राष्ट्रीय

ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની વાટાઘાટો અટવાઈ | India US interim trade agreement talks stalled



– સુપ્રીમના ચુકાદા અને ટ્રમ્પના 15 ટકા ગ્લોબલ ટેરિફની અસર

– દુનિયાના 90 દેશો પર એકસમાન 15 ટકા ટેરિફ હોય તો ભારતે સ્પર્ધાત્મક રીતે નીચી ડયુટીનો સામનો નહીં કરવો પડે : નિષ્ણાતો

નવી દિલ્હી: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવી રદ કરતા અને પ્રમુખ ટ્રમ્પે તુરંત જ દુનિયા પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકતા હવે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની વાટાઘાટો અટવાઈ ગઈ છે. અગાઉ થયેલી સમજૂતી મુજબ સોમવારે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો મળવાના હતા અને વેપાર કરારની અંતિમ શરતો પર ચર્ચા કરવાના હતા. પરંતુ હવે આ માટે સોમવારે મળનારી બેઠક મુલતવી રખાઈ છે. બીજીબાજુ નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પના ૧૫ ટકા ગ્લોબલ ટેરિફથી ભારતને મોટું નુકસાન થવાનું નથી.

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર સંબંધિત તમામ વસ્તુઓને અંતિમરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં સોમવારે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારોની બેઠક મળવાની હતી, જેનો કાર્યક્રમ હવે નવેસરથી ગોઠવવાનો નિર્ણય કરાયો છે. ભારતીય ટીમ સોમવારથી ત્રણ દિવસની બેઠક શરૂ કરવાની હતી. બંને પક્ષોનું માનવું છે કે તાજા ઘટનાક્રમો અને તેની અસરોને સમજી લેવામાં આવે પછી ભારતીય ટીમે અમેરિકાનો પ્રવાસ નિશ્ચિત કરવો જોઈએ.

આ પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી હતી. ત્યાર પછી બંને દેશો વચ્ચે સૂચિત વેપાર કરારની અંતિમ શરતો નક્કી કરવા માટે સોમવારે ૨૩ ફેબુ્રઆરીએ બેઠકનું આયોજન કરાયું હતું. પરંતુ આ સમયમાં ગયા શુક્રવારે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવી દીધા. બીજીબાજુ સુપ્રીમના આદેશ પછી તુરંત જ ટ્રમ્પે દુનિયાના તમામ દેશો પર પહેલાં ૧૦ ટકા ટેરિફ નાંખવાની અને કલાકોમાં આ ટેરિફ ૧૫ ટકા કરવાની જાહેરાત કરી હતી.

ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર સહમતી થઈ ગઈ હતી અને તેના અંગે ફ્રેમવર્ક અને ફેક્ટશીટ પણ જાહેર થઈ ગયા હતા. વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે, વચગાળાના વેપાર કરાર પર માર્ચમાં હસ્તાક્ષર થઈ શકે છે અને એપ્રીલમાં તે લાગુ થઈ શકે છે. પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. 

જોકે, ભારતીય નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કલમ ૧૨૨ હેઠળ ૧૫૦ દિવસ માટે બધા દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખ્યો છે ત્યારે ભારતને આ ટેરિફથી કોઈ મોટું નુકસાન નહીં થાય. દુનિયાના ૯૦થી વધુ દેશો પર એક સમાન ૧૫ ટકા ટેરિફ હોય તો સ્પર્ધાત્મક રીતે ભારતને કોઈ નુકસાન થવાનું નથી. ભારતીય નિકાસકારોને અન્ય દેશોના નીચા દર સામે સ્પર્ધાનો સામનો નહીં કરવો પડે. વધુમાં આ ૧૫ ટકા ટેરિફ પણ ૧૫૦ દિવસ માટે છે. તેને આગળ વધારાશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.



Source link

Related Articles

Back to top button